જીવન માટે જળનો આ દશકોઃ હવે તો જળસંચય એ જ ઉપાય

જળ, જમીન, જંગલ અને પર્યાવરણની જાળવણી, સંરક્ષણ અને સંવર્ધન બાબતે માત્ર સરકાર એકલે હાથે જ આ બધું કરી દેશે એવી વધુ પડતી અપેક્ષાવાદી માનસિકતામાંથી લોકોએ બહાર આવવું જરૂરી છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા પાણીપ્રશ્ન ઉકેલવાના પ્રયાસો તો કરે છે, પરંતુ એ પૂરતું નથી. લોકોએ, સમુદાયોએ, સમાજે અને દરેક નાગરિકે પાણીનો પ્રશ્ન હલ કરવાના કાર્યમાં સહયોગી બનવું જરૂરી છે.

ગુજરાતની ધરતી પર દર ચોમાસે ૧,૩૦,૦૦૦ મિલિયન ઘનમીટર વરસાદી પાણી પડે છે. રાજ્યની પીવાના, ઘરવપરાશના શુદ્ધ પાણીની વાર્ષિક જરૂરિયાત માત્ર ૨૦૦૦ મિલિયન ઘનમીટરની છે. રાજ્યની કુલ માંગ પણ ૩૦,૦૦૦ મિલિયન ઘનમીટરની છે. આજે રાજ્યના સૌરાષ્ટ્રકચ્છઉત્તર ગુજરાત વગેરે પ્રદેશોમાં ઝડપથી શુદ્ધ પાણીની પ્રાપ્યતા ઘટતી જાય છે તેમ જ રાજ્યનાં અનેક મધ્યમ અને નાનાં શહેરોમાં બેબે કે ચારચાર દિવસે એક વખત પાણી અપાતું હોય છે.

ખરેખર તો સમાજ, સમુદાયો અને દરેક નાગરિકે વધુ જાગ્રત અને સંવેદનશીલ બનીને જ્યાં વરસાદ પડે છે ત્યાં જ જળવ્યવસ્થાપન કરવાની, જળસંચય, જળ જાળવણીની આપણા પૂર્વજોએ નિર્મિત કરેલી પરંપરાગત પ્રાચીન પદ્ધતિઓ અપનાવવી જોઈએ. સરકારની વિવિધ પાણી યોજનાઓમાં પણ સહભાગી બની આપી સહયોગી બનવું જોઈએ.

પાણી આદર અને પૂજાને પાત્ર ગણાતું હતું તે હવે ધીમે ધીમે વેચવાખરીદવાની ચીજ બનવા લાગ્યું છે. પાણીની પરબ બાંધવાનું ભૂલાતું જાય છે અને પાણીનો વેપાર વધતો જાય છે. આજે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને પીવાના પાણીને લગતું જે ગંભીર ચિત્ર ઊપસી રહ્યું છે એનું એક કારણ લોકો પાણીનું મહત્ત્વ ભૂલવા લાગ્યા છે અને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી સરકારોએ પોતાના હસ્તક લઈ લેતાં લોકોની તેમાં ખાસ કોઈ ભૂમિકા રહી નહીં તેમ જ લોકોએ તેમાં રસ લેવાનું ઓછું કરી દીધું. પરિણામે દેશદુનિયા અને ઘરઆંગણાની જળ સમસ્યા વધુ ને વધુ વિકટ બનતી રહી.

બે એક વર્ષ પહેલાં સંયુકત રાષ્ટ્રસંઘ (યુનો)ની મહાસભાએ સને ૨૦૦૫થી ૨૦૧૫ ના દશકાને ‘જીવન માટે જળ’ દશકા તરીકે સમગ્ર વિશ્વએ ઊજવવાનું જાહેર કરેલ. જૂન, ર૦૦૩માં ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ‘જળ સંવર્ધન પ્રવૃત્તિને રાષ્ટ્રીય અભિયાન’ જાહેર કરેલ અને જુલાઈ માસને ‘જળ માસ’ તરીકે ઊજવવાની જાહેરાત કરેલ. એ જ રીતે કેન્દ્ર સરકારે ૨૦૦૭ના વર્ષને ‘જળવર્ષ’ તરીકે ઊજવવાનું જાહેર કરેલ અને ‘ઇન્ટરનેશનલ ક્રોસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ફોર સેમી એરીડ’ તેમ જ કૃષિ યુનિવર્સિટીઓ, ટોચની કૃષિ સંસ્થાઓ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર વગેરેએ સાથે મળીને એકશન પ્રોગ્રામ હાથ ધરાશે એવું જાહેર કરવામાં આવેલું.

આમ પણ જગતમાં કયાંય શાસકો કે સરકાર દ્વારા લોકચેતના, લોકક્રાંતિ થઈ હોય તેવો ઇતિહાસમાં દાખલો નથી. ખરેખર તો કોઈ પણ બાબતે ક્રાંતિ લોકોસમુદાયોસમાજમાંથી જ જન્મતી હોય છે. વિકટ જળ સમસ્યા હલ કરવા બાબતે ૧૯૯૦ના દશકામાં ગુજરાતના સૌરાષ્ટ્રકચ્છ પ્રદેશની ખમીરવંતી પ્રજામાં એવી જાગૃતિ આવેલ, ચેતના પ્રગટેલ કે વરસાદનું વધુમાં વધુ પાણી રોકવા, સંગ્રહવા અને કૂવાબોર દ્વારા ભૂતળમાં ઉતારવાનો જાણે કે કોઈ જાદુઈ ‘ચિરાગ’ હાથ લાગી ગયો હોય એવા ઉત્સાહ અને ઉમંગભેર, સૌરાષ્ટ્રકચ્છની પ્રજાએ એવી વૈચારિક ક્રાંતિ પેદા કરેલ કે, સેવાભાવી સંસ્થાઓ, તમામ ધાર્મિક સંપ્રદાયો, સંતોમહંતો અને આગેવાનો પણ એ લોકક્રાંતિમાં જોડાતા ગયા.

સામાન્ય રીતે પ્રજા નેતાની પાછળ ચાલતી હોય છે, પરંતુ ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાની પાછળ નેતાઓએ ચાલવું પડે તેવી લોકજાગૃતિ સૌરાષ્ટ્રકચ્છની પ્રજામાં ૧૯૯૦ના દશકામાં આવેલ હતી અને સરકારની કોઈ જાતની સહાયની રાહ જોયા વગર લાખો ખેડૂતો, ગ્રામીણો અને શહેરીજનોએ જળસંચયજળસંગ્રહનાં વિવિધ સ્ટ્રકચરો અને કાર્યો થયેલ. સૌરાષ્ટ્રની આ લોકક્રાંતિએ સારાયે દેશનું ધ્યાન દોરેલ અને અનેક રાજ્યના ખેડૂતોએ, લોકોએ એનું અનુકરણ પણ કરેલ.

સ્ત્રોત: શ્રી શામજીભાઈ આંટાળાનો 'જળ સંવાદ'માં પ્રગટ થયેલો લેખ

Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading