પાણી અને પર્યાવરણ

પૃથ્વી પર માનવીનું સર્જન થયું છે ત્યારતી આ પૃથ્વી પર લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. વિશ્વમાં જેમ જેમ વસ્તી વૃદ્ધિ થતી રહી છે, તેમ તેમ અનેક પ્રશ્નો ઊભા થયા વધતી જતી વસ્તીને લીધે કુદરતી સંસાધનોની અછત વર્તાય છે અને પ્રદૂષણ ફેલાય છે. વસ્તી વધારાને પરિણામે શહેરોમાં વૃદ્ધિ થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તી વૃધ્ધિને કારણે જમીન પરનું ભારણ વધ્યું છે. જે લોકો જમીન વિનાના અને બેરોજગાર હોય છે, તેઓ રોજગારી મેળવવા માટે શહેર તરફ સ્થળાંતર કરી જાય છે, આથી શહેરીકરણ વધે છે. સ્થળાંતરિત વસ્તી વધવાની સાથે વસ્તી વૃદ્ધિના દર ઊંચો હોવાથી શહેરોમાં અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. વસ્તી વૃદ્ધિને કારણે શહેરમાં વસવાટોની તંગી ઊભી થઈ છે. ઝૂંપડપટ્ટી વધી છે. બેરોજગારી અને ગુના ખોરીનું પ્રમાણ વધ્યું છે. વાહન-વ્યવહાર, હવા અને પાણીના પ્રદૂષણની સમસ્યા, પાણી પૂરવઠો, ડ્રેનેજ જેવી સુવિધાો પૂરી પાડવાના અનેક પ્રશ્નો ઉભા થાય છે. વસ્તીમાં તીવ્ર થવાને કારણે જાતિગત સંઘર્ષો, કોમી રમખાણો સતત વધતા જાય છે.

જળ સંકટ
વિશ્વભરમાં જન સંખ્યામાં વૃદ્ધિને કારણે જળ, જંગલ અને જમીન ઉપર વિઘાતક અસરો પેદા થઈ છે. વિશ્વમાં જળ સંકટનું કારણ વધતી જતી વસ્તી વૃદ્ધિ છે. ઘરના ઉપયોગ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં પાણીની માંગ વધી રહી છે. એક સર્વે મુજબ વ્યક્તિ દીઠ ૧૨.૦૫ ઘન મી.પાણી પ્રતિ વર્ષ જરૂરી છ. જેમાં ૫૫ ઘન મી. ઘરના ઉપયોગ માટે, ૧૧૫૦ ઘન મી. અનાજના ઉત્પાદનમાં વપરાય છે. વિશ્વમાં લગભગ ૧૨૦ કરોડ લોકો જળસંકટ ભોગવી રહ્યા છે. વિશ્વમાં આજે જળસંકટની સ્થિતિ ઉદ્ભવી રહી છે. બીજી તરફ વસ્તીમાં વૃદ્ધિ થઈ રહી છે, તેથી જલ સ્ત્રોતોનો ઉપયોગ વધુ થતો જાય છે. ઘણીવાર જળના સંદર્ભમાં એક બીજા સમૂહ વચ્ચે વિવાદ અને સંઘર્ષો પેદા થતા જોવા મળે છે. વિશ્વ પર્યાવરણો અને વિકાસ આયોગના અહેવાલમાં જળસંશોધનોની ગંભીર સ્થિતી પરત્વે ધ્યાન દોરવામાં આયું છે. જો કૃષિના પાણીનો ૨/૩ ઉપયોગમાં લેવાશે તો આ સદીના અંતમાં આનાથી પાણીના ઉપયોગ બાબતમાં બમણો વધારો થવાની શક્યતા રહેલી છે. ૮૦ જેટલાં રાષ્ટ્રો જેમાં વિશ્વની ૪૦% જેટલી વસ્તી વસવાટ કરે છે. જ્યાં હાલમાં પાણીની અછત વર્તાય છે. પાણીની ઉપયોગ સંદર્ભે દિનપ્રતિદિન સ્પર્ધાઓ વધતી જાય છે. જુદા જુદા દેશો વચ્ચે નદીઓ પસાર થાય છે. તેના સંદર્ભમાં જળ વિવાદો વધવા લાગ્યા છે.W.H.O નામ મત પ્રમાણે વિશ્વમાં પ્રતિદિન ૨૫,૦૦૦ લોકોનું મૃત્યુ પ્રદૂષણને કારણે થાય છે. વિશ્વમાં ૮૦ ટકા રોગોનું મૂળ કારણ ગરીબી છે. એકવીસમી સદીને આરે આવીને ઊભેલી માનવજાતિ સમક્ષ અને ગંભીર પડકારોની જેમ સાર્વત્રિક પ્રદૂષણ એકમ મોટો પડકાર છે. પાછલી સદીઓમાં વિજ્ઞાનનો ભારે વિકાસ થયો અને દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થયાં. ઠેર ઠેર મિલો-કારખાના ઊભા થયાં. વાયુ પ્રદૂષણની જેમ જેમ પ્રદૂષણને પણ માઝા મુકી છે. જે નદીઓ લોકમાતા તરીકે જીવનદાયિની મનાતી હતી. તેમનું પ્રદુષિત જળ હવે અનેક રોગોનું મુખ્ય કારણ બની ગયું છે. કારખાનાના ઉત્પાદનમાંથી વધતો અશુદ્ધ કચરો તેમ જ ગંદું પાણી નદીતળાવોમાં ઠલવાય છે. પ્રદૂષણને લીધે જ શ્રીરામની પતિતપાવની ગંગા આજે મેલી બની ગઈ છે. આમ, સર્વધા પ્રદૂષિત જળ હવે “જીવન” કહેવા યોગ્ય રહ્યું નથી. ગુજરાતમાં પાણી માટે લાંબાગાળાનું અને અસરકારક આયોજિત કરવું જરૂરી છે. ગુજરાતમાં પાણીના વપરાશમાં ૮૯ ટકા હિસ્સો સિંચાઈ ક્ષેત્રનો છે. જ્યારે બાકીના ૧૧ ટકામાં ૭ ટકા ઘરવપરાશ, ૨ ટકા ઉદ્યોગો અને ૨ ટકા પશુપાલન ક્ષેત્રે વપરાય છે. આથી પાણીના વપરાશની એકંદરે કાર્યક્ષમતા વધારવા માટે કૃષિક્ષેત્રમાં થતી વપરાશ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ગુજરાતમાં થતી સિંચાઈ મુખ્યત્વે કુવા અને નહેરો દ્વારા થાય છે. આથી પાણીના વપરાશની કાર્યક્ષેત્રતા માટે બંને પ્રકારના સિંચાઈ સ્ત્રોતો માટે અલગઅલગ વિચારણા કરવી પડે. કૂવાથી થતી સિંચાઈને લાગે વળગે છે. ત્યાં સુધીનાં એક એકમની વપરાશની કાર્યક્ષમતા નહેરો દ્વારા થતી સિંચાઈને કાર્યક્ષમતા કરતા વધારે છે. આનું કારણ એ છે કે આ વિસ્તારમાં પાણીની અછત તથા જથ્થા પ્રમાણે પાણીના દરની પ્રથા હોવાને કારણે ખેડુતો સ્વંયભૂ રીતે પાણીના વપરાશમાં કરકસર કરે છે. એમાં કરકસર થાય અને એ રીતે એક એકમ પાણીથી થતાં સીમાન્ત કૃષિ ઉત્પાદનમાં વધારો થાય એવા પ્રયત્ન કરવાની જરૂર છે.

પાણીની ઉપલબ્ધની દૃષ્ટિએ ગુજરાત જળ-તનાવી યુક્ત હોવાથી પાણીની સ્થિતી સુધારવા માટે ઉપલબ્ધ જથ્થામાં વધારો કરવાના અન્ય દિશાનાં પ્રયત્નો કરવાની જરૂર છે. એક અંદાજ પ્રમાણે વરસાદનું ૩૦૦ કરોડ ઘનમીટર પાણી દરિયામાં વહી જાય છે. આ માટે વરસાદ દ્વારા દરિયામાં વહી જતાં પાણીનો ખેત તલાવડી, તળાવો અને સરોવરમાં સંગ્રહ કરવો જોઈએ તથા કૂવાઓ દ્વારા વધારાનાં પાણીને ભૂગર્ભમાં ઉતારી દેવું જોઈએ. આ રીતે વરસાદના પાણીનું આયોજન કરવાથી એ પાણી બારેમાસ વપરાશ માટે મળી શકશે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આમેય વરસાદ ઓછો પડે છે. વળી જે પડે છે તે મર્યાદિત દિવસો દરમ્યાન જ પડે છે. અને ભૂગર્ભપાણી ઊંડા છે. આ ઉપરાંત ભૂગર્ભ પાણીની ગુણવત્તા નબળી હોવાથી પાણીની અછતનો સામનો કરવા ખેડૂતોએ જરૂરિયાત એ શોધખોળની જનની છે. એ રીતે ભૂગર્ભજળને સમૃદ્ધ કરવાની અવનવી તરકીબો સફળતાપૂર્વક શોધી કાઢી છે. એમાં ચેકડેમો, ખેત તલાવડીઓ, પરલોકેશન ટેન્ક જેવી અનેક યોજનાઓ ગણાવી શકાય. સરકાર પર આધાર રાખવાને બદલે ખેડૂતોએ પોતે જ આ અભિયાનની પહેલ કરી છે.

પ્રદૂષણ જીવસૃશ્ટિના અસ્તિત્વ માટે ભયંકર ખતરારૂપ છે. તેનાથી જીવનનું સુખ અને સુંદરતા હણાઈ રહ્યા છે. પ્રદૂષિત હવા, પાણી અને ખાદ્યઅન્ન લીધે આજે માનવી કાર્યશક્તિમાં ઓછાય આવી રહી છે. તન અને મનની અનેક સમસ્યાઓ પાછળ આજે પ્રદૂષણનો હાથ છે, તેથી તેને નિવારવા યુદ્ધ સ્તરીય પ્રયાસો આદરવા જોઈએ.

ભારતમાં જળસંસાધનનો અને પર્યાવરણીય સમસ્યાઓ
જળ સંસાધનોનો અર્થ
પર્યાવરણના વિવિધ ઘટકોમાં એક અગત્યનું ઘટક જળાવરણ છે. જળાવરણના સંસાધનોમાં મહાસાગરો, સમુદ્રો, સરોવરો, તળાવો, નદીઓ, ઝરણાઓ, બરફ હિમનદીઓ, વરસાદ અને ભૂગર્ભજળનો સમાવેશ થાય છે. વાતાવરણ અને મૃદાવરણ વચ્ચે આવેલ જળના વહેતા પ્રવાહ અને સ્થિર સંગ્રહને જળસંપત્તિ કહેવામાં આવે છે. જળસંપત્તિ એ પ્રભુએ આપેલ કુદરતી સંપત્તિ છે. પરંતુ આ કુદરતી જળસંપત્તિ અખૂટ અને અપાર નથી પરંતુ મર્યાદિત છે. તેથી તેનો ઉપયોગ ખૂબ જ વિવેક બુદ્ધિથી અને સમજદારીપૂર્વક કરવાનો સમય પાકી ગયો છે. કારણ કે એકબાજુએ વસ્તીના વધારા સાથે તેના ઉપયોગમાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. અને બીજી બાજુએ જળ પ્રાપ્તિના વિવિધ સંસાધનો દ્વારા પ્રાપ્ત થતા જળના જથ્થામાં કુદરતી રીતે જ ઘટાડો થઈ રહ્યો છે. તેથી જો પાણીનો કરકસરયુક્ત સુયોગ્ય ઉપયોગ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં પાણીની ન કલ્પી શકાય તેવી તંગી પેદા થશે. અને માનવ પાણી પ્રાપ્તિની બાબતમાં નિઃસહાય બની જશે. આથી પાણીના દૂર ઉપયોગને ટાળવાની તાતી જરૂરિયાત પેદા થઈ છે. પૃથ્વીની પાટીના ૩/૪ ભાગ પર પાણી પથરાયેલું છે. કુલ પાણીનો આશરે ૯૩.૯૬ ટકા ભાગ દરિયામાં સમાયેલો છે. બાકીના ૬.૪ ટકા પાણીમાંથી શુદ્ધ અને તાજું પાણી તો માત્ર ૩ ટકા જેટલું જ છે તેથી તેનો કરકસરયુક્ત ઉપયોગ કરવાનું કેટલું જરૂરી છે તે સમજી શકાય તેવી બાબત છે.

જળ સંસાધનોનો દુરુપયોગ કરીને પર્યાવરણીય સમસ્યા પેદા કરી છે.
૧. વપરાશની દૃષ્ટિએ પાણીનો દુરુપયોગ
૨. વરસાદના પાણીને સંગ્રહિત કરવાની દૃષ્ટિએ તેનો દુરુપયોગ
૩. જળ પ્રદૂષિત કરવાની દૃષ્ટિએ તેનો દુરુપયોગ

૧. વપરાશની દૃષ્ટિએ પાણીનો દુરુપયોગ
એકબાજુએ વસ્તીના વધારા સાથે પાણીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુએ વિવિધ જળ સંસાધનોમાંથી પ્રાપ્ત થતા જળના પ્રમાણમાં દિનપ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. વિરોધાભાસી પરિસ્થિતિ વચ્ચે સ્થાપિત કરવા માટે ખરેખર તો પાણીના વપરાશમાં કાપ મૂકવો જોઈએ. પરંતુ તેમ કરવાને બદેલ વિવિધ હેતુઓ માટે બિનજરૂરી રીતે બેફામ ઉપયોગ કરીએ છીએ. તેથી પાણીની દિવસે દિવસે ખેંચ વરતાય રહી છે. પાણીના વપરાશમાં દુરુપયોગ કરી રહ્યા છીએે.

ઘર વપરાશમાં દુરુપયોગ
નળમાં આવતું બધું પાણી વાપરી નાખવા માટે જે છે તેમ માનીને પીવામાં, નાવા ધોવામાં, કપડાની ધૂલાઈમાં અને ગૃહસફાઈમાં બેફામ પાણીનો બગાડ કરીએ છીએ. તાજેતરમાં પ્રકાશિત થયેલ “World Agriculture and the Environment”નામના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે ખેતીમાં અત્યારે જેટલું કુલ પાણી વપરાય છે. તેમાંથી ૬૦ ટકા જેટલું પાણી વેડફાય જાય છે.

ખેતીમાં દૂર ઉપયોગ
ખેતીમાં સિંચાઈ દ્વારા નહેરોથી પાણી મેળવવામાં આવે છે. તેમાં મીટર પદ્ધતિ ન હોવાથી તે ગમે તેટલું વાપરવામાં આવે તો પણ તેનો વાર્ષિક ફિક્સ ચાર્જ જ ભરવાનો હોય છે, તેથી ખેડૂત જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ કરીને બહુ મોટો બગાડ કરે છે. આ મૂલ્યવાન જળનો દૂર ઉપયોગ છે.

ઔદ્યોગિક ક્ષેત્રે દૂર ઉપયોગ
ઔદ્યોગિક ક્ષેત્રનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે. તેમ તેમ તેની પાણીની જરૂરિયાતો સંતોષવા માટે પાણીની માંગમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જુદા જુદા ઉદ્યોગ ધંધાઓમાં આ પાણીની માંગ જુદી જુદી હોય છે તે ખરું, પરંતુ એકંદરે આ માંગ ખૂબ મોટી હોય છે, તેથી તેમાં કરકસરની ખૂબ જરૂર છે, પરંતુ કારખાનાના માલિકો અને શ્રમિકો પાણીના મૂલ્યને સમજતા નથી. તેથી જરૂર કરતા તેનો અનેકગમો ઉપયોગ કરે છે. આ અનેકગણો ઉપયોગ એ પાણીનો દૂરઉપયોગ છે. માનવી ઉપરોક્ત વિવિધ હેતુ માટે જરૂર કરતાં અનેકગણું પાણી વાપરીને પાણીનો દૂર ઉપયોગ કરે છે.

૨. વરસાદના પાણીને સંગ્રહિત કરવાની દૃષ્ટિએ તેનો દુરુપયોગ
લોકભોગ્ય પાણી વરસાદથી મળે છે. તેથી વરસાદ એ પાણીનો એકમાત્ર સ્ત્રોત છે. નદીઓ, તળાવો, સરોવરો, ડેમો જળ સંસાધનો દ્વારા આપણે જે જળ પ્રાપ્ત કરીએ છીએ તે બધાનો આધાર વરસાદ પર રહેલો છે. આ વરસાદ વર્ષમાં અમુક ઋતુમાં જ આવે છે. તેથી પાણીની ખેંચ પેદા ન થવા દેવી હોય તો વરસાદ આવે ત્યારે તેનો કૃત્રિમ રીતે શક્ય એટલો સંગ્રહ કરવો જોઈએ. ૮૫ ટકા જળ રાશિ ભૂમિ પર પડીને નદીનાળાઓ દ્વારા સમુદ્રમાં ભળી જાય છે. ઈઝરાઈલ ૩ થી ૪ ઈંચ વરસાદથી સમગ્ર દેશને હરિયાળો બનાવી શક્યો તેનું કારણ માત્ર તેઓ વરસાદના એકેએક ટીપાને સંગ્રહિત કરીને તેનો સદ્ઉપયોગ કરે છે. વરસાદના પાણીને સંગ્રહિત ન કરવાને કારણે પાણીનો બહુ મોટો દુર ઉપયોગ થાય છે.

૩. જળ પ્રદૂષિત કરવાની દૃષ્ટિએ તેનો દુરુપયોગ
માનવ દ્વારા વિવિધ હેતુઓ માટે જે જળની માંગ કરવામાં આવે છે તે શુધ્ધ જળની છે. પરંતુ માનવીએ પ્રગતિના બહાના તળે સ્વ સ્વાર્થને પોષવા નદી, નાળા, સરોવરો, તળાવો, કૂવાઓ દ્વારા પ્રાપ્ત થતા અમૃત રૂપી જળને પ્રદૂષિત કરીને ઝેર બનાવી દીધું છે. પાણીમાં બહારના પદાર્થો ભળતા તંદુરસ્તી માટે તે ભયજનક અને નુકસાનકારક બને છે. જે પાણી તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને તેને પ્રદૂષિત જળ કહેવાય છે. નેચરલ એન્વાયરમેન્ટલ એન્જીનિયરિંગ એન્ડ રિસર્ચના અહેવાલ મુજબ ભારતમાં પ્રાપ્ય પાણીનો ૯૦ ટકા જથ્થો પ્રદૂષિત છે. આમ કુદરતે જે જળ શુદ્ધ સ્વરૂપે આપણને આપ્યું છે. તે શુદ્ધ જળમાં પ્રદૂષણસર્જક તત્વોને ઠાલવીને તેને બિનઉપયોગી બનાવી તેનો દુરુપયોગ કરી રહ્યા છીએ. પાણીને પ્રદુષિત કરતા માનવસર્જિત પાણી પ્રદૂષકોને વર્ગીકૃત કરી શકીએ.

જૈવિક પ્રદૂષકો
નદી, નાળા, સરોવરો અને તળાવોના પાણીમાં શહેરી-ગ્રામીણ ગટરોના ગંદા પાણી ઠલવાતા જૈવિક પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. તેથી તે જળ માનવને માટે ઉપયોગપાત્ર રહેતું નથી.

રાસાયણિક પ્રદૂષકો
મુખ્યત્વે ઉદ્યોગો અને શહેરોના નકામા પદાર્થો, બિનજરૂરી રાસાયણિક આડપેદાશો અને સર્વ પ્રકારના કચરાઓ જળાશયોમાં નાખીને તેનો નિકાલ કરવાનો જાણે કે સામાન્ય શિરસ્તો બની ગયો છે. આથી આ બધા પ્રદૂષિત પદાર્થો જળમાં ઠલવાતા તે પ્રદૂષિત બને છે અને પછી તે જળ માનવને માટે ઉપયોગી રહેતું નથી. તેનો દુરુપયોગ થાય છે.

ઉષ્મા પ્રદૂષકો
ઉષ્મા પાવર સ્ટેશનોમાં યંત્રોને ઠંડા પાડવા માટે અથવા બિનજરૂરી ઉષ્માને દૂર કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને ગરમ થયેલ પ્રદૂષિત જળ નજીકના જળાશયોમાં છોડી દેવામાં આવે છે તેથી તે પ્રદૂષિત બને છે અને માનવના ઉપયોગને પાત્ર રહેતું નથી. તેનો દૂર ઉપયોગ થાય છે.

રેડિયો એક્ટિવ પ્રદૂષકો
પરમાણુ શક્તિને શાંતિમય ઉપયોગો માટે નાથવા માટે જે કાર્યક્રમોનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેને કારણે રેડિયો એક્ટિવ પદાર્થોના વપરાશમાં વધારો થઈ રહ્યો છે. રેડિયો એક્ટિવ પદાર્થો પાણી ભળતા તે પ્રદૂષિત થાય છે અને તે જળ ઉપયોગ પાત્ર રહેતું નથી. તેનો દુરુપયોગ થાય છે.

જળ સંસાધનોના જળના ખોટા ઉપયોગની અસર
૧. પર્યાવરણની પ્રાકૃતિક સમતુલા ખંડિત થઈ છે
પર્યાવરણની પ્રાકૃતિક સમતુલા એ આદર્શ સ્થિતિ છે. કારણ કે તે પર્યાવરણનું શુદ્ધ સ્વરૂપ હોવાથી માનવી અને અન્ય જીવસૃષ્ટિને માટે ઉપકારક છે. પરંતુ માનવી એ જળ જે પર્યાવરણના વિવિધ સંસાધનોનો દુરુપયોગ સર્જીને જળ પ્રદૂષણનું સામ્રાજ્ય પેદા કર્યું છે. માનવી અને જીવસૃષ્ટિનું સુખમયજીવન દુઃખમય પરિસ્થિતિમાં પરિવર્તિત થઈ ગયું છે. માનવીએ કરેલ જળ સંસાધનોના દૂર ઉપયોગ આદર્શ પર્યાવરણની પ્રાકૃતિક સમતુલાને ખંડિત કરી છે તે તેની માઠી અસર ગણાવી શકાય.

૨. જળ સંસાધનોમાં ઠલવાતા પ્રદૂષકો એ માનવ સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર કરી છે
જળ સંસાધનો જેવા કે નદી, નાળા, સરોવરો, તળાવો માનવ દ્વારા અનેક પ્રકારના પ્રદૂષકો ઠાલવવામાં આવે છે. પ્રદૂષકોની માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો પેદા થઈ છે.

જૈવિક પ્રદૂષકો
નદી, નાળા, સરોવર અને તળાવોના પાણીમાં શહેર અને ગ્રામીણ ગટરોના અશુદ્ધ પાણી ઠલવાતા જૈવિક પ્રદૂષણ પેદા થાય છે. ગટરોના ગંદા પાણીમાં રહેલા મળમૂત્રને કારણે અનેક પ્રકારના રોગોને ફેલાવનારા બેકટેરિયા, પ્રોટોઝોઆ અને જીવાણુઓ પણ શુદ્ધ પાણીમાં ઠલવાય છે. માનવી આ અશુદ્ધ પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે. તેથી માનવના સ્વાસ્થ્ય પર તેની માઠી અસર પહોંચે છે. કોલેરા, ટાઈફોઈડ, આંતરડાનાં દર્દો પ્રદૂષિત પાણી પીવાથી તથા તેનો ઉપયોગ કરીને ઉગાડેલા શાકભાજી અનાજ ખોરાકમાં ઉપયોગ કરવાથી થાય છે. ગટરોના ગંદા પાણીમાં રહેલ જૈવિક પ્રદૂષકો માનવ સ્વાસ્થ્યને નકુસાન પહોંચાડે છે.

રાસાયણિક પ્રદૂષકો
ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતા બિનકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ, ફલોરાઈડ એસિડ, ક્લોરિન, મરક્યુરી અને કેટલી ભારે ધાતુઓ જેવી કે, ઝિંક, ક્રોમિયમ, નિકલ, સાઈનાઈડ પાણીમાં ભળે છે. આ ઉપરાંત કાદવ, રાખ, કોલસી જેવી અદ્રાવ્ય પદાર્થો પણ તેમાં ઉમેરાય છે. રાસાયણિક પ્રદૂષકો જળાશયોના પાણીને પ્રદૂષિત કરી નાખે છે. તે વાપરવા માટે બિનઉપયોગી બની જાય છે. પરિણામે અનેક પ્રકારના રોગોનો તે ભોગ બને છે. રાસાયણિક પ્રદૂષકો માનવીના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પેદા કરે છે.

ઉષ્મા પાવર
સ્ટેશનોમાં યંત્રોને ઠંડા કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણ યુક્ત ગરમ પ્રદૂષિત પાણી જળાશયમાં ઠલવાતા તેનું ઉષ્ણતામાન વધી જાય છે. આવા ગરમ પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવાથી માનવ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે અને માનવી અનેક રોગોનો ભોગ બને છે.

રેડિયો એક્ટિવ પ્રદૂષકો
પરમાણુ શક્તિને શાંતિમય ઉપયોગો માટે નાથવાના જે કાર્યક્રમોનો અમલ થાય છે તેને કારણે રેડિયો એક્ટિવ પદાર્થોના વપરાશમાં વધારો થાય છે. તે પાણીમાં ભળતા પાણી પ્રદૂષિત થાય છે. કેટલાક રેડિયો એક્ટિવ પદાર્થો પાણી વાટે માનવીના શરીરમાં દાખલ થાય છે. આથી શરીરના વિવિધ અંગો પર અનેક પ્રકારની હાનિકારક અસરો ઉત્પન્ન થાય છે.

૩. અન્ય જીવસૃષ્ટિ ઉપર પ્રતિકૂળ અસરો
પર્યાવરણમાં માનવની માફક અન્ય જીવસૃષ્ટિમાં પાલતુ પશુઓ, જંગલી પ્રાણીઓ, પક્ષીઓ અને અગણિત જીવજંતુઓ પણ રહેલાં છે. પીવામાં ઉપયોગ કરે છે. તેથી માનવીની માફક જે તેના સ્વાસ્થ્ય પર પણ તેની પ્રતિકૂળ અસરો પડે છે. અને તે બધા અનેક રોગોનો ભોગ બને છે. અન્જ જીવસૃષ્ટિ પર પણ જળ સંસાધનોના ખોટા ઉપયોગની પ્રતિકૂળ અસરો પડે છે.

૪. ભૂગર્ભ જળસંગ્રહ પ્રદૂષિત
સપાટી પરના જળપ્રદૂષણો ધીમે ધીમે ભૂમિના પેટાળમાં રહેલા ભૂગર્ભ જળસંગ્રહ સુધી પહોંચે છે અને ભૂગર્ભ રહેલા શુધ્ધ જળસંગ્રહને તે પ્રદૂષિત કરે છે. જળનો જ્યારે ઉપયોગ કરવામાં આવેલ છે ત્યારે તે સમગ્ર જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે.

૫. પૃથ્વીના આંતરસ્તરીય બંધારણને ખંડિત
સપાટી પરના જળથી માનવીની પાણીની જરૂરિયાતો સંતોષાતી નથી. તેથી તે ધીમે ધીમે પેટાળના ઉપયોગ કરવાનું શરૂ કરે છે. કૂવાના પાણી ખલાસ તથા તે પાતાળ કૂવા દ્વારા પાણી મેળવે છે. પાતાળ કૂવા દ્વારા જે પાણી મેળવવામાં આવે છે તે ભૂગર્ભનું સંગ્રહિત જળ જ હોય છે અને તેનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આ જળ પૃથ્વીના ઉપલા પડનો આધાર છે. પરંતુ જ્યારે આ જળને ખેંચી લેવામાં આવે છે. ત્યારે ત્યાં નીચેની જમીન અને પૃથ્વીની ઉપરની જમીનની વચ્ચે ગેપ પેદા થાય છે આથી ઉપલી જમીન આધાર રહિત બની જાય છે. આમાંથી ધરતીકંપ અને જ્વાળામુખી જેવી પ્રાકૃતિક આપત્તિઓનો જન્મ થાય છે અને તે પૃથ્વીના આંતરસ્તરીય બંધારણને ખંડિત કરે છે. જળ સંસાધનોના દુરુપયોગથી પૃથ્વીના આંતરસ્તરીય બંધારણ પર પ્રતિકૂળ અસર પડે છે.

૬. સમુદ્રીજીવો પર પ્રતિકૂળ અસર પડે છે
સમુદ્રના જળમાં માછલી, કાચબા, મગરમચ્છ અને એવા અન્યઅંશ્કય જીવો રહેલાં હોય છે, પરંતુ આ સમુદ્રી જળમાં પ્રદૂષિત નદીનાળાઓનું જળ અને સીધેસીધું શહેરી ગટરોનું પ્રદૂષિત જલ અને કચરો ઠલવાય છે. આ ઉપરાંત સમુદ્ર કાંઠે કરવામાં આવતા તેલ સંશોધન માટે હાથ ધરેલા ડ્રિલિંગમાંથી નીકળતું તેલ, તેમ જ સમુદ્રમાં તેલ લઈ જતી સ્ટીમરો ડૂબવાથી અને તેને સમુદ્રના પાણીથી સાફ કરવાથી સમુદ્રમાં તેલ ઠલવાય છે. સમુદ્રનું જળ પ્રદૂષિત અને ઝેરીલું બને છે આની જળ જીવસૃષ્ટિ પર પ્રતિકૂળ અસર પડે છે. સમુદ્રોના કિનારાના જળ પ્રદૂષિત થવાથી જ કિનારાના નજીકના સમુદ્રમાં મત્સ્ય ઉત્પાદનમાં બહુ મોટા પ્રમાણે ઘટાડો થયો છે. ઉપરાંત સમુદ્ર વનસ્પતિ પર પણ પ્રદૂષિત જળની પ્રતિકૂળ અસર પડે છે. જળ સંસાધનોનો ખોટો ઉપયોગ થવાથી સમુદ્રિજળ જીવસૃષ્ટિ ઉપર તેની ખૂબ જ પ્રતિકૂળ અસરો પડી રહી છે.

ડૉ. સોંદરવા નાનજી
લેખક ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગરમાં અર્થશાસ્ત્ર વિભાગના વ્યાખ્યાતા છે.
સંકલનઃકંચન કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading