પાણી બાબતે સ્વાવલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!

એક દિવસનું આયોજન કરવું હોય તો ધનની બચત કરવી, મહિનાનું આયોજન કરવું હોય તો ધાનનો સંગ્રહ કરવો જોઇએ, વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષારોપણ કરવું જોઇએ અને સદીઓનું આયોજન કરવું હોય તો પાણીનું આયોજન કરવું જોઇએ.' શિવનગર પ્રાથમીક શાળા નંબર ૨૪માં આજે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા આયોજિત 'જલ પેડી' કાર્યક્રમ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહની કામગીરી સમજવા આવેલા વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ સામે ઉપરોકત વાતની રજૂઆત શાળાની શિક્ષિકા દિપ્તીબહેન ગોરે કરી હતી. તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, જો બધા સાથે મળીને સંયુકત રીતે કામગીરી કરે તો કોઇપણ કાર્ય અશકય રહેતું નથી.

[img_assist|nid=46291|title=JALPEDI|desc=|link=none|align=left|width=403|height=302]ભીમ અગિયારસ એ આપણી પરંપરાગત લોક સંસ્કૃતિને ઉજાગર કરતો દિવસ છે અને આ દિવસ ખાસ તો જળ આયોજન અને વ્યવસ્થાપન સાથે જોડાયેલો છે. આજના આ દિવસની મહત્તા જીવંત રહે એ માટે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ(જેએસએસએસ) અને એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ) દ્વારા 'જળ પેડી' નો કાર્યક્રમ આયોજિત કરીને કચ્છમાં જળક્રાંતિની દિશામાં પહેલ કરી છે. જેએસએસએસ દ્વારા ભુજ શહેરની કુલ આઠ પ્રાથમીક શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહની કામગીરી લોકભાગીદારી દ્વારા કરવામાં આવી છે. અન્ય ખાનગી શાળાઓ પણ આ કામગીરીને પ્રત્યક્ષ જોઇને પ્રેરણા લે એ માટે જળ પેડી કાર્યક્રમ અંતર્ગત પ્રમુખસ્વામીનગર સ્થિત મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ ચાર રસ્તા પંચાયતી પ્રાથમીક શાળા અને ભુજના વંચીત વિસ્તારમાં આવેલી શિવનગર પંચાયતી પ્રાથમીક શાળા નંબર ૨૪(શાંતિનગર)માં અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની મુલાકાત રાખવામાં આવી હતી.

[img_assist|nid=46292|title=JAL PEDI|desc=|link=none|align=left|width=403|height=302]પ્રમુખસ્વામીનગર સ્થિત મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ ચાર રસ્તા પંચાયતી પ્રાથમીક શાળામાં કચ્છ યુવક સંઘ, વ્હાઇટ હાઉસ, સેન્ટ એન્ડ્રુસ, રોટરી એજયુકેશન સોસાયટી અને મુન્દ્રા રિલોકેશન પંચાયતી શાળા(પૂર્વ)ના કુલ ૨૯૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક વકતવ્ય રજૂ કરતાં જેએસએસએસના કન્વિનર તરૂણકાંત છાયાએ જણાવ્યું હતું કે, પાણી આપણી જીવાદોરી છે માટે આ સ્કૂલમાં જે કાર્ય થયું છે તે વાત તમારા વાલીઓ, વડીલોને પણ કરજો. તમારી શાળામાં પણ આ પ્રકારની કામગીરી થાય એ માટે આજના અનુભવની વાત તમારી સ્કૂલમાં પણ કરજો. વધુને વધુ વરસાદી પાણી સિંચિત થાય તે આપણા માટે અત્યંત જરૂરી છે. એકતા મહિલા મંડળના પ્રમુખ અને પૂર્વ નગરસેવક નિરંજનાબહેને વરસાદી પાણીના સંગ્રહની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે, આપણે હાલના સમયની માગ પ્રમાણે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઇએ. પાણીની વાતને બૃહદ સંદર્ભમાં લઇ જતાં તેમણે જણાવ્યું હતું કે, જે ગામમાં વાવ, તળાવ અને કૂવાઓનું યોગ્ય વ્યવસ્થાપન થતું હોઇ એવા ગામને એવોર્ડ દ્વારા નવાજવા જોઇએ.

એકટ સંસ્થાના ડાયરેકટર યોગેશભાઇ જાડેજાએ વિશેષ અંદાજમાં વાત મૂકતાં કહ્યું હતું કે, ઘરમાં બાળકો તોફાન કરે એટલે એકાદ વખત તો એમના માતા-પિતા કહેતા હોય છે કે, મારી મા, મારા બાપ હવે તો ઝપ...એટલે કે બાળકો પણ તેના જીવનકાળમાં માતા-પિતાની ભૂમિકામાં તો આવતાં જ હોય છે. પાણીના સંગ્રહ બાબતે બાળકોએ ઘરમાં જાગૃત થવાની જરૂર છે. દરેક વ્યકિત પાણી બચાવવા માટે સભાન રહે તો ઘણું પાણી બચાવી શકાય. સ્કૂલમાં ભણતાં બાળકો માટે માતા-પિતા દ્વારા પાણીની બોટલ, ચોકલેટ વગેરેનો ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચમાં ઘટાડો કરવામાં આવે તો સ્કૂલમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનો ભૂગર્ભ ટાંકો બની જાય. સમસ્યાનો ઉકેલ આપણી પાસે જ હોય છે ફકત એ ઉકેલને અમલીકરણના તબક્કામાં લાવવાની જરૂર છે અને શરૂઆત પોતાના દ્વારા થાય એ અગત્યનું છે.

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading