સફાઇ, સ્વચ્છતા અને આપણું જીવન

સામાન્ય રીતે મોટેભાગે સ્વચ્છતાનો અર્થ જીવાતોને કારણે રોગોનો ફેલાવો અટકાવવા માટેની પદ્ધતિ એવો થાય છે. સફાઈ પ્રક્રિયામાં-ઉદાહરણ તરીકે હાથ ધોવા-સંક્રમક ગંદકી અને માટી સ્વરૂપે રહેલા જીવાણુઓને સારી રીતે દૂર કરવામાં આવે છે, એટલે, એમ કહી શકાય કે, સફાઇ થયા પછી સ્વચ્છતા પ્રાપ્ત કરી કહેવાય છે. સ્વચ્છતા શબ્દનો ઉપયોગ વિવિધ શબ્દસમૂહો તરીકે થાય છે-શરીર સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા, ઉંઘ સ્વચ્છતા, માનસિક સ્વચ્છતા, દંત સ્વચ્છતા અને વ્યવસાયિક સ્વચ્છતા એ જાહેર આરોગ્ય સંદર્ભે વપરાય છે.સ્વચ્છતાને આરોગ્ય અને આરોગ્યપ્રદ જીવનપ્રણાલી સાથે સંકળાયેલી આદતો તરીકે જોવામાં આવે છે.

સ્વચ્છતાનો ખ્યાલ એ જૂના તબીબી ખ્યાલ સાથે સંકળાયેલો છે, તેવી જ રીતે વ્યક્તિગત અને વ્યવસાયિક દેખરેખની આદતો પણ મોટા ભાગે જીવનપ્રણાલી સાથે જોડાયેલી છે. સ્વચ્છતાની આદતો એ તબીબી વિજ્ઞાનમાં તેમજ ઘર(પ્રાદેશિક) અને જીવનની રોજિંદી પ્રક્રિયાઓમાં રોગોનો ફેલાવો અને તેની અસર ઘટાડવાના પ્રતિબંધક માપદંડો તરીકે છે. ખાદ્યાન્ન, દવાઓ, સૌંદર્ય પ્રસાધનો અને અન્ય વસ્તુઓની ઉત્પાદન પ્રક્રિયામાં સ્વચ્છતા એ ગુણવત્તાની ખાતરી માટેનો મહત્વનો ભાગ છે. ઉદાહરણ તરીકે ઉત્પાદન પર આપવામાં આવેલી માઈક્રોબિયલ-ઇનગ્રેડિએન્ટનું વિગતવાર વર્ણન એ તેના ઉપયોગ માટે યોગ્ય હોવાની ખાતરી આપે છે. સુઘટતા અથવા સફાઈ અને સ્વચ્છતા શબ્દો ક્યારેક પરસ્પર એકબીજા માટે પણ વપરાય છે, જે મૂંઝવણ ઊભી કરી શકે છે.

સ્વચ્છતા એ વિજ્ઞાનની એક શાખા પણ છે, જે આરોગ્યની જાળવણી અને પ્રોત્સાહન સાથેનો વ્યવહાર દર્શાવે છે, તેને આરોગ્યશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સફાઇ અને સ્વચ્છતા પ્રક્રિયા વ્યાપક રીતે ભિન્ન છે.

સ્વચ્છતા-સેનિટેશન સામાન્ય રીતે માનવ પેશાબ અને મળનો સુરક્ષિત નિકાલ માટે સુવિધાઓ અને સેવાઓની જોગવાઈનો ઉલ્લેખ કરે છે. પણ, આજના યુગમાં સ્વચ્છતા માનવ મળ-મૂત્રની સાથે પ્રવાહી તેમજ ઘન કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા, ખોરાકની સ્વચ્છતા, વ્યકિતગત તેમજ પર્યાવરણ સ્વચ્છતા સાથે જોડાયેલી છે.

આરોગ્યપ્રદ જીવન માટે ઘન કચરો અને ગંદા પાણીના નિકાલની સુનિયાજિત વ્યવસ્થા અનિવાર્ય છે. અપૂરતી સ્વચ્છતા સુવિધા રોગોના ઉપદ્રવ માટેનું એક મુખ્ય કારણ છે.

ભારત સરકાર દ્વારા વર્ષ વર્ષ ૨૦૧૨માં સેનિટેશન ફોર ઓલ-સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે. આ અભિયાનનું વિઝન આ પ્રમાણે છે: ભારતના બધા જ ગામડાઓ તથા શહેરો માનવજીવનને અનુરૂપ સરળતાથી રહેવા માટે સ્વચ્છ રહે, જેથી દરેક નાગરિકનું જીવન તથા પર્યાવરણ આરોગ્યપ્રદ રહે. અહીં આરોગ્યપ્રદ શબ્દ મહ_વનો છે.

આરોગ્યપ્રદ-હાઇજીન એટલે એવી પ્રક્રિયા કે જેમાં સફાઇ અને સ્વચ્છતા બન્નેનો સમાવેશ થાય છે. જીવનશૈલી આરોગ્યપ્રદ રહે એ માટે આસપાસની જગ્યામાં સફાઇ રહે જેથી સ્વચ્છતાનું પ્રમાણ જાળવી શકાય. હાઇજેનિક પ્રક્રિયા માટે નાગરિકોની સમજ-સિવીક સેન્સ પણ અગત્યની છે.

ગ્રામ્ય સ્વચ્છતાને ધ્યાને લઇને ભારતનો પ્રથમ સ્વચ્છતા અભિયાન પ્રકલ્પ વર્ષ ૧૯૮૬માં શરૂ થયો હતો. આ પ્રકલ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય જીવનને વધુ સારૂં બનાવવા પરત્વે હતો, ખાસ કરીને મહિલાઓને વધુ સગવડો મળે જે તેમની જીવનશૈલીને ગરિમા બક્ષે. વર્ષ ૧૯૯૯માં આ પ્રકલ્પનું મૂલ્યાંકન કરીને પરિણામલક્ષી બનાવવા માટે તેનો સમાવેશ ભારતની નવમી પંચવર્ષિય યોજનામાં કરવામાં આવ્યો હતો.

ભારતના ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન યોગ્ય રીતે થાય તે અંગેની જવાબદારી વોટર સપ્લાય એન્ડ સેનિટેશન વિભાગને સોંપવામાં આવી હતી. આ પ્રકલ્પમાં ગામડાઓમાં ખુલ્લી જગ્યાઓમાં મળોત્સર્જન ક્રિયા સંપૂર્ણપણે નાબુદ થાય અને ગામડા સ્વચ્છ બને એ અંગે ખાસ ભાર મૂકવામાં આવેલો હતો.

વર્ષ ૨૦૧૨ સુધીમાં દરેક ગામડાઓ ખુલ્લી જગ્યામાં મળોત્સર્જનની ક્રિયાથી સંપૂર્ણપણે નાબુદ થાય એવું લક્ષ્ય આ પ્રકલ્પનું હતું. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકલ્પના હેતુઓ નક્કી કરવામાં આવેલા હતા જે આ પ્રમાણે હતા:

૧. સામાન્ય જનજીવન ગુણવત્તાસભર બનાવવું૨. વર્ષ ૨૦૧૨ સુધીમાં દરેક વ્યકિતને ટાઇલેટ-સંડાસની સુવિધા મળે. ૩. સ્થાનિક સરકાર એટલે કે પંચાતય દ્વારા જનજાગૃતિ અને આરોગ્ય શિક્ષણના માધ્યમથી સેનિટેશનની સગવડતાઓને ટકાવી રાખવા માટે લોકોને પ્રેરણા આપવી. ૪. શાળાઓ અને આંગણવાડીઓને સ્વચ્છતા સુવિધાથી સજ્જ કરવી અને બાળકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરૂં પાડવું.૫. ખર્ચ અસરકારક સ્વચ્છતા સુવિધાઓને પ્રોત્સાહન પૂરૂં પાડવું.

ઉપરોકત હેતુઓના અનુસંધાનમાં વોટર સપ્લાય એન્ડ સેનિટેશન વિભાગના એક સર્વેક્ષણ પ્રમાણે તારણ એવું જાણવા મળે છે કે, ગામડાઓમાં વર્ષ ૨૦૦૧માં આશરે ૨૨% ઘરોમાં સંડાસની સુવિધા પ્રાપ્ત થઇ હતી અને વર્ષ ૨૦૧૦માં આ આંકડો ૬૮%નો હતો. ખેર, આ તો સરકારી આંકડાઓ છે અને પ્રત્યક્ષ રીતે જોવા જઇએ તો ગામડાઓમાં પરિસ્થિતિ કંઇક અલગ હોઇ શકે.

ઉપરોકત પ્રકલ્પની સાથે નિર્મલ ગામ પુરસ્કારની એક યોજના બનાવવામાં આવી હતી. જે ગ્રામ પંચાતય, તાલુકો કે જિલ્લો ૧૦૦% સ્વચ્છતા સુવિધાથી સજ્જ છે તેને આ પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ૧૦૦% સ્વચ્છતા સુવિધામાં ખુલ્લી જગ્યામાં મળોત્સર્જનની નાબુદી, વ્યકિતગત ઘરો અને શિક્ષણ સંકુલમાં સંપૂર્ણ સ્વચ્છતા સુવિધા અને ગામના ભૌગોલિક વિસ્તારમાં કાયમી સફાઇને માપદંડ તરીકે જોવામાં આવેલા હતા.

વર્ષ ૨૦૦૫માં ૩૮ ગ્રામ પંચાયતને નિર્મલ ગામ પુરસ્કારથી નવાજવામાં આવેલા હતા. છેલ્લા આંકડા પ્રમાણે વાત કરીએ તો પૂરા ભારતમાં વર્ષ ૨૦૧૦માં આવી ગ્રામ પંચાયતની સંખ્યા ફકત ૨૮૦૮ની છે. ભારતનું સિક્કિમ રાજય પ્રથમ એવું રાજય છે જેને નિર્મલ રાજય તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલું છે.

છેલ્લા દશકામાં દેશની આશરે ૧.૦૫ મિલીયન શાળાઓમાં અને ૦.૩૬ મિલીયન આંગળવાડીઓમાં સુરક્ષિત સ્વચ્છતા સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે એવું વોટર સપ્લાય એન્ડ સેનિટેશન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, આપણા દેશમાં ખાસ કરીને ગામડાઓમાં સ્વચ્છતાને લઇને હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે.

ગામડાઓમાં સ્વચ્છતા સુવિધા ઉપલબ્ધ થાય એ માટે રૂરલ સેનિટરી માર્ટની રચના સરકાર દ્વારા કરવામાં આવેલી છે. આ માર્ટની જવાબદારી ગામડાઓમાં જરૂરિયાત પ્રમાણેની અને ખર્ચના દ્રષ્ટિકોણથી પરવડે તેવા સેનિટેશનના વિકલ્પ આપવાની છે.

ગામડાઓમાં વ્યકિગત ઘરોમાં રૂરલ સેનિટરી માર્ટ દ્વારા ગામડાઓમાં ઇકોસેન સંડાસની ભલામણ કરવામાં આવે છે પરંતુ વિકલ્પ આપતાં પહેલા કેટલીક અગત્યની બાબતોને પ્રધાન્ય આપવું જરૂરી છે.

Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading