ભાવનગર શહેરનું ગૌરીશંકર તળાવ

તળાવ એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેનું પરંપરાગત અને ઉત્તમ સ્થળ. તળાવ બનાવતા સમયે માટી ખોદી તેની પાળ બનાવવામાં આવે અને કયારેક આ પાળને કડિયાકામ કરીને પાકી બનાવવામાં આવે. વરસાદ પડે અને વિવિધ આવકક્ષેત્ર દ્વારા તળાવમાં પાણી ભરાય. એક સમયે તળાવ એ જળસંચયનું મોટું અને હાથવગું ક્ષેત્ર હતું. ગુજરાતના ઇતિહાસમાં સહસ્ત્રલિંગ તળાવનો ઉલ્લેખ જોતાં જણાય છે કે, પૌરાણિક કાળથી તળાવો અસ્તિત્વ ધરાવે છે. ગુજરાત રાજયના ડુંગરાળ પ્રદેશને બાદ કરતાં લગભગ દરેક ગામમાં નાના-મોટા તળાવો આવેલા છે. અમદાવાદનું કાંકરીયા તળાવ, વડોદરાનું સુરસાગર તળાવ, જામનગરનું રણમલ તળાવ, જુનાગઢનું નરસિંહ મહેતા તળાવ અને ભુજનું હમીરસર તળાવ આજે પણ ગુજરાતની શોભા વધારે છે. આજે આપણે વાત કરીશું ભાવનગરના જાજરમાન ગૌરીશંકર તળાવની.

[img_assist|nid=47350|title=Gaurishankar Lake|desc=|link=none|align=left|width=536|height=403]ગામઠી નિશાળમાં બે-ત્રણ ધોરણ ભણેલો છોકરો મોટો થઇને કોઇ રાજયનો દિવાન બને તે એક મોટું અચરજ કહેવાય. એમાંય વળી એ દિવાન રાજય માટે તળાવ બંધાવે તે એના કરતાં પણ મોટું અચરજ કહેવાય. એ દિવાન હતા ગૌરીશંકર ઉદયશંકર ઓઝા. ભાવનગર શહેરમાં આવેલું ગૌરીશંકર તળાવ ભાવનગર રાજયના દિવાન ગૌરીશંકર ઓઝા(ઇ.સ. ૧૮૦૫ થી ૧૮૯૧)એ બંધાવ્યું હતું. તેમની માતાનું નામ અજયબા હતું. ઘોઘા પાટણના વડનગરા નાગર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેઓ તેર વર્ષના થયા ત્યારે માતા-પિતાનું છત્ર ગુમાવ્યું અને મામા-મામીએ તેમને ઉછેર્યા હતા. તેઓ ઝાઝું ભણી શકયા ન હતા છતાં પણ તેઓ અઢાર વર્ષના થયા ત્યારે તેમને ભાવનગર રાજયમાં નોકરી મળી ગઇ હતી. એ સમયે તેમનો પરિચય સેવકરામ નામના કારભારી સાથે થયો હતો. ગૌરીશંકર ઓઝાની કૃષાગ્ર બુદ્ઘિની સેવકરામને અસર કરી ગઇ હતી. તેમણે ગૌરીશંકરને વહીવટદાર બનાવ્યા હતા. આ નોકરીથી ગૌરીશંકર ઓઝાના જીવનમાં પરિવર્તન આવવાની શરૂઆત થઇ. તેમણે પોતાની કુનેહથી ભાવનગર રાજયને રંજાડતા બહારવટિયાને અંકુશમાં લઇને પોતાના પ્રદેશને સલામત બનાવ્યો હતો. આ ઘટના બાદ ઇ.સ. ૧૮૫૦માં તેમને રાજયના દિવાન તરીકે નિમવામાં આવેલા હતા. સૌ પ્રથમ તો પોતાના ઓછા શિક્ષણથી પ્રભાવિત થઇને તેમણે ભાવનગર રાજયના વિસ્તારમાં ૧૦૦ નિશાળ ખોલી. એ સમયે સૌરાષ્ટ્રમાં એક પણ નિશાળ હતી નહી. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જ આ રીતે નિશાળની શરૂઆત કરવામાં આવેલી હતી. એ બાદ તેમણે ખેડૂતોના હક્કો બાબતે કાર્ય શરૂ કર્યુ. ન્યાય પદ્ઘતિમાં ફેરફાર કરીને કાયદાને નવું સ્વરૂપ આપ્યું. પોલિસતંત્રમાં સુધારણા કરી તેમજ રાજયમાં બાંધકામ ખાતાની રચના કરી અને રાજયમાં તળાવ બંધાવ્યું જે પહેલાના વખતમાં બોર તળાવ તરીકે જાણીતું હતું અને આજે તે ગૌરીશંકર તળાવ તરીકે ઓળખાય છે. આવા અનેક લોકોપયોગી કામગીરીને કારણે તેઓ લોકોમાં 'ગગા ઓઝા' તરીકે જાણીતા થયા હતા.

ભાવનગર રાજયની સ્થાપના ઇ.સ. ૧૭૨૩માં(વિક્રમ સંવત ૧૭૭૯ વૈશાખ શુદ ૩-અખા ત્રીજના રોજ) વડવા ગામની નજીક મહારાજા ભાવસિંહજી ગોહિલે કરી હતી. મેવાડથી ગુજરાતના દરિયાકાંઠા ઉપર આવેલા ભાવસિંહજી ગોહિલ સૂર્યવંશી રાજા હતા અને તેઓ શિહોર ઉપર રાજય કરતાં હતા. ભાવનગરને પોતાના રાજયની રાજધાની બનાવી એ પહેલા સેજકપુર, ઉમરાળા અને શિહોર ગોહિલ રાજપુતોની રાજધાની હતી. મહારાજા જશવંતસિંહનું અવસાન થયું એ સમયે રાજકુમાર સગીર વયના હોવાથી બ્રિટિશ સરકારે ગૌરીશંકર ઓઝાને ભાવનગર રાજયના પ્રતિનિધિ બનાવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઇ.સ. ૧૮૭૨માં ભાવનગર રાજયના પીવાના પાણીના હેતુને પહોચી વળવા માટે બોર તળાવ(હાલનું ગૌરીશંકર તળાવ)બનાવવામાં આવેલું હતું. આજે આ તળાવ સહેલાણીઓ માટે ફરવા અને પિકનીક માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. તળાવની પાસે જ આવેલી બાલ વાટિકા, સંગીતમય ફૂવારા, પ્લેનેટોરિયમને કારણે તળાવની શોભા અનન્ય રીતે વધી જાય છે. આ તળાવ લગભગ ૩૮૧ હેકટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની સ્ટોરેજ કેપેસીટી ૨૩૨ એમ.સી.એફ.ટી. છે. તળાવના કિનારે એક નાનું જંગલ છે જેમાં વિવિધ વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિ વસે છે. અહી ૧ લાખથી પણ વધારે વૃક્ષો સહેલાણીઓને સુશાંત વાતાવરણ આપી કુદરતની નજીક લઇ જાય છે. આ જંગલની અંદર બે નર્સરી છે જયાં બાગ અને જંગલો માટેના છોડ ઉછેરવામાં આવે છે.

હાલમાં જ આ સુંદર તળાવમાં બોટિંગનો પ્રારંભ કરવામાં આવેલો છે. કોર્પોરેશને આશાપુરા એજન્સીને બોટિંગનો કોન્ટ્રાક આપ્યો છે. આજે આ તળાવમાં એકી સાથે ૧૪ બોટ દ્વારા સહેલાણીઓ બોટિંગનો આનંદ મેળવી રહ્યા છે. તળાવની આસ-પાસ કુદરતી સૌદર્યને કારણે લોકો આબુના નખી લેકમાં બોટિંગ કરી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. બોટિંગનો સમય સવારથી સુર્યાસ્ત સુધીનો રાખવામાં આવેલો છે. ૧૩૫ વર્ષ પહેલા બનાવવામાં આવેલા આ સુંદર તળાવની સાથે જમીનનો વિવાદાસ્પદ મુદ્રો પણ સંકળાયેલો છે. ભાવનગરની ૧૩૦ કરોડ રૂપિયા કરતાં પણ વધારે કિંમતની પ્રજાની માલિકીની પ્રોપટી જેમાં ગૌરીશંકર તળાવ, રિઝર્વ ફોરેસ્ટ અને વિકટોરિયા પાર્ક પ્રાઇવેટ બિલ્ડર્સને આપી દેવામાં આવી હતી. ઇ.સ. ૧૯૫૦માં શ્વેતપત્ર બહાર પાડવામાં આવેલું હતું જેમાં આ મિલકત પ્રજાની માલિકીની ગણવામાં આવેલી હતી જે મહારાજા કૃષ્ણકુમારસિંહ કે તેમના પુત્ર વિરભદ્રસિંહની માલિકીની નથી એમ સ્પષ્ટ લખવામાં આવેલું હતું. આમ છતાં પણ ઇ.સ. ૧૯૭૧માં ઇરાદાપૂર્વક આ પ્રોપટી પ્રાઇવેટ માલિકીની લખવામાં આવી જે અંગે અરજી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ અરજીમાંથી સર્વે નંબર ૪૭૨(તળાવ) અને ૪૭૧/૨(રિઝર્વ ફોરેસ્ટ)ને એન. એ. કરવાની ના પાડી અને અરજીમાંથી આ નંબરો દૂર કરવાની ભલામણ કરી હતી. આ સર્વે નંબરો એન. એ. ન કરવા અંગે પ્રાઇવેટ પાર્ટીએ કન્ટેમ્પ્ટની અરજી પણ કરી હતી પણ આ સર્વે નંબરો પ્રજાની માલિકીના છે એમ કહીને એ અરજી ખારિજ કરવામાં આવી હતી. ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના અને દૂરોગામી ચૂકાદામાં પ્રજાનો ન્યાયિક વિજય થયો છે. આ વિવાદી જમીનની લાંબી કાયદાકિય લડતમાં ગુજરાતની વર્તમાન સરકારે ભાવનગરની જનતાને પાણી પૂરૂ પાડતાં ગૌરીશંકર તળાવની જમીનની માલિકી સહિત વ્યાપક જનહિતમાં ન્યાય માટે સર્વાેચ્ચ અદાલત સુધી મક્કમતાપૂર્વક તર્કસંગત રજૂઆતો કરી હતી અને તેનું ફળદાયી પરિણામ ભાવનગરની પ્રજા ભોગવી રહ્યી છે. સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર સર્વે નંબર ૪૭૨ની ૧૮.૨૩ એકર અને ૪૭૧/૧ની ૮૦ એકર જમીન તળાવ તરીકે માન્ય રાખવામાં આવેલી છે.

આપણી ભવ્ય સંસ્કૃતિના દર્શન આવા તળાવો દ્વારા જ થાય છે. જે સમયે આ તળાવો બાંધવામાં આવેલા હતા તે સમયથી લઇને આજના સમય સુધી આવા તળાવો ખૂબ જ ઉપયોગી છે. માનવ સહજ સ્વભાવ લોભ અને લાલચને કારણે આવા તળાવોને નષ્ટ થતાં બચાવવા જરૂરી છે. જયાં સુધી આવા તળાવો જીવંત રહેશે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ પણ જીવંત રહેશે. ભાવનગરના ગૌરીશંકર તળાવની માલિકી લોકોની છે. લોકો આવા તળાવો પ્રત્યે સંવેદનશીલ રહશે તો જ આ માલિકી જીવનપર્યાંત રહેશે નહીતર કોઇને કોઇ ભષ્ટ્ર તંત્ર તેના ઉપર કબજો જમાવી લેશે તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી!

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading