ડાકોરમાં આવેલું મહાભારતકાળના સમયનું ગોમતી તળાવ

[img_assist|nid=47876|title=GOMATI LAKE_DAKOR|desc=|link=none|align=left|width=199|height=159]હિંદુ ધર્મમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગ પ્રવાહો પૈકી ૮૬૪૦૦૦ વર્ષ લાંબા દ્વાપરયુગના ૮૬૩૮૭૫માં વર્ષમાં શ્રાવણ વદ આઠમ, બુધવાર, રોહિણી નક્ષત્રમાં અવતાર ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણે ૧૨૫ વર્ષ, ૧ મહિનો અને ૫ દિવસનું આયુષ્ય ભોગવ્યા બાદ કળિયુગનો આરંભ થાય છે. પૌરાણિક ગ્રંથો પ્રમાણે કળિયુગમાં બુદ્ઘાવતાર ધારણ કરીને ચતુર્ભુજ પ્રતિમા રૂપે ભગવાન શ્રી કૃષ્ણ ૪૨૨૫ વર્ષ સુધી દ્વારકામાં રહ્યા હતા.

દંતકથા પ્રમાણે દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે વિજયનંદ નામનો વૃદ્ઘ ગોવાળ તેની અવગણના કરતો હતો, પણ તેની પત્નિ શ્રી કૃષ્ણની પરમ ભકત હતી. એક વખત હોળીના પર્વમાં વિજયનંદને જયારે આ વાતની જાણ થઇ ત્યારે તેને શ્રી કૃષ્ણ સાથે ઝઘડો થયો. આ બાબતે શ્રી કૃષ્ણ અને વિજયનંદની ટુકડીઓ વચ્ચે ઘર્ષણ થયું અને આ ઘર્ષણમાં શ્રી કૃષ્ણની ટુકડી હારી ગઇ. શ્રી કૃષ્ણ યમુનાજીમાં પડીને સંતાઇ ગયા ત્યારે વિજયનંદ પણ તેની પાછળ યમુનાજીમાં પડયા. વિજયનંદને યમુનાજીમાં શ્રી કૃષ્ણના સાચા સ્વરૂપના દર્શન થયા ત્યારે એણે શ્રી કૃષ્ણની માફી માગી. શ્રી કૃષ્ણએ તેને આશિષ આપતાં કહ્યું-કળિયુગમાં તમે વિજયસિંહ તરીકે જન્મ લેશો અને તમારી હાલની પત્નિ સુધા ગંગાબાઇ તરીકે તમારી પત્નિ હશે એ વખતે હું તમને દર્શન આપી મોક્ષ આપીશ.-કિવંદતી પ્રમાણે વિજયનંદ ડાકોરમાં વિજયસિંહ રૂપે જન્મ પામ્યા. બોડાણા તેમની અટક. ૧૬ વર્ષથી લઇને ૭૨મા વર્ષ સુધી પ્રતિ વર્ષ હાથમાં તુલસી ઉગાડીને ચાલતાં તેઓ દ્વારકાની યાત્રાએ જતાં હતા. તેમની આ ભકિતથી પ્રસન્ન થઇને શ્રી કૃષ્ણએ વિક્રમ સંવત ૧૨૧૨(ઇ.સ. ૧૧૫૬), કારતક સુદ, ૧૫(દેવ દિવાળી)ના દિવસે દ્વારકાથી ડાકોર આવીને વસ્યા હતા. ડાકોર આવતાં સમયે સીમલજ ગામ પાસે વહેલી સવારે કડવા લીમડાની ડાળ તોડી દાતણ કર્યુ તે લીમડાની એ ડાળ મીઠી બની ગઇ હતી. આ લીમડો આજે પણ ડાકોરથી ઉમરેઠ જતાં માર્ગે બિલેશ્વર મહાદેવ મંદિરની પાસે હયાત છે. દ્વારકાથી ડાકોરમાં શ્રી કૃષ્ણ વસ્યા ત્યારે તે રણછોડરાયજી તરીકે પ્રખ્યાત થયા હતા. ડાકોરમાં ગોમતી નદીના કિનારે રણછોડરાયનું મંદિર છે.

ગોમતી તળાવમાં ગોમતી નદીનું પાણી આવે છે. ગોમતી તળાવની ઉત્પતિ મહાભારતકાળની હોવાનું માનવામાં આવે છે. મહાભારતકાળમાં ચરોતર અને તેમાં પણ ડાકોરની આસપાસનો વિસ્તાર હિડંબા વન તરીકે ઓળખાતો હતો. આ વિસ્તારમાં ઘણા જળાશયો હતા.(એમના અવશેષો રૂપે વાંઘરોલી, સૈયાત, રાણી પોરડા વગેરે જળાશયો કપડવંજ તાલુકા પ્રદેશમાં આજે પણ હયાત છે.) આ જળાશયોના કાંઠે ઋષીમુનિઓના આશ્રમો હતા. એવા ઋષીઓ પૈકી એક ડંક મુનિનો આશ્રમ હતો આ ડંક મુનિ કંડુ ઋષિના ગુરૂભાઇ હતા અને મહાદેવના પરમ ભકત હતા. ડંક મુનિએ એક વડ નીચે બેસીને ઉગ્ર તપસ્યા કરી. મહાદેવ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે ડંક મુનિએ તેમને આશ્રમમાં વસવા વિનંતી કરી. તેમની વિનંતીને માન્ય રાખીને મહાદેવ આશ્રમમાં લિંગ સ્વરૂપે રહ્યા.(હાલમાં ડાકોરમાં ગોમતીના કિનારે રણછોડરાયજીના મંદિરની સામે ડંકનાથ/ડંકેશ્વર મહાદેવનું મંદિર છે.) ડંક મુનિના આશ્રમમાં એક વખત મુસાફરી દરમિયાન શ્રી કૃષ્ણ અને ભીમ આવ્યા હતા. ડંક મુનિએ પોતાના આશ્રમની પાસે પાણીનો એક નાનો કુંડ બનાવેલો હતો. એ કુંડનું શીતળ જળ પીને શ્રી કૃષ્ણ અને ભીમ તૃપ્ત થયા હતા. એ સમયે ભીમને એ કુંડ મોટો બનાવવાનો વિચાર આવ્યો અને એ વિચારને અમલમાં મુકવા ભીમે એ કુંડના સ્થળે ગદા પ્રહાર કર્યો. ભીમના ગદા પ્રહારથી એ કુંડ ૯૯૯ વીઘા જમીનમાં તળાવ સ્વરૂપે ફેલાઇ ગયું.(એ તળાવ એટલે આજનું ગોમતી તળાવ.) ભીમના ગદા પ્રહારથી ડંક મુનિની તપસ્યા ભંગ થઇ અને તેમણે શ્રી કૃષ્ણ અને ભીમને જોયા. શ્રી કૃષ્ણએ તેમને વરદાન માગવા કહ્યું ત્યારે ડંક મુનિએ મહાદેવની જેમ શ્રી કૃષ્ણને પણ આશ્રમમાં વસવા વિનંતી કરી. શ્રી કૃષ્ણએ વિનંતી માન્ય રાખી. પૌરાણિક માન્યતા પ્રમાણે એ પછી ૪૨૨૫ વર્ષ મુર્તિ સ્વરૂપે દ્વારકામાં રહ્યા અને પછી ભકતરાજ વિજયસિંહ બોડાણાની ભકિતવશ ડાકોર પધાર્યા અને ડંક મુનિના આશ્રમમાં રહ્યા. સમયના પ્રવાહની સાથે લોકો ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવના મંદિર પાસે વસવાટ કરવા લાગ્યા. પહેલા એ ડંકપુર અને એ પછી આજનું ડાકોર બન્યું. શ્રી કૃષ્ણ અનેક નામથી ઓળખાય છે. ડાકોરમાં શ્રી કૃષ્ણ રણછેડરાયજીના નામે ઓળખાય છે તેની પાછળ એક કથા છે. શ્રી કૃષ્ણ પહેલા મથુરામાં રહેતા હતા. જયારે જરાસંઘના મિત્ર કાલયવને શ્રી કૃષ્ણ ઉપર હુમલો કર્યો ત્યારે શ્રી કૃષ્ણ મથુરાવાસીઓની સલામતિ માટે તેમને સાથે લઇને રણ છોડીને મથુરાથી ભાગી ગયા હતા અને દ્વારકામાં નવી નગરી બનાવીને વસ્યા હતા. આથી તેઓ દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયજીના નામથી ઓળખાય છે.

આજના યુગમાં ગોમતી તળાવ કાળજી અને જાળવણીના અભાવે પ્રદૂષિત બની ગયું છે. ધાર્મિક પવિત્રતા ધરાવતાં આ તળાવમાં ગટરનું પાણી અને કચરો બેરોકટોક ઠાલવવામાં આવે છે. યાત્રાએ આવતાં લોકો આ તળાવમાં સ્નાન કરતાં ખચકાય છે. નગરપાલિકામાં આ તળાવની સફાઇ બાબતે અનેક રજુઆત કરવામાં આવેલી છે પણ તળાવની સફાઇ કરવામાં આવતી નથી. યાત્રાધામ વિકાસ બોર્ડ તથા સરકાર દ્વારા ગોમતી તળાવને સ્વચ્છ કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં નગરપાલિકા આ તળાવને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ રહ્યી છે. જોકે આ બાબતે ફકત તંત્રનો જ વાંક કાઢવો એક પક્ષીય ગણાશે, કારણ કે આ તળાવને પ્રદૂષિત કરવામાં લોકોનો બહુમૂલ્ય ફાળો છે. ડાકોરના ગોટા પ્રખ્યાત છે. યાત્રાળુઓ ગોટાના પડીકાઓ લઇને ગોમતી તળાવના કિનારે મોજથી ગોટાનો આસ્વાદ માણે છે અને કચરો ગોમતી તળાવમાં નાખે છે.

[img_assist|nid=47877|title=GOMATI LAKE_DAKOR_GHAT|desc=|link=none|align=left|width=359|height=252]ગોમતી તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજય પથરાયેલું છે. તળાવના પાણીમાં કચરા સહિત ગટરનું પાણી અને અન્ય સામગ્રી નાખવાથી પાણી દૂષિત થઇ ગયું છે. આવા દૂષિત થઇ ગયેલા પાણીનું આચમન કે માથે ચડાવવા શ્રદ્ઘાળુઓ સુગ અનુભવે છે. ગોમતી તળાવની સફાઇ બાબતે તંત્રનું કહેવું છે કે, આ તળાવમાં ગટરનું પાણી નાખવામાં આવતું નથી અને તળાવના પાણીની પૂરતી સાફ-સફાઇ કરવામાં આવે છે, પણ આ બાબતે લોકો પણ જાગૃત થઇને આ પવિત્ર પાણીને દૂષિત ન કરે તો ગોમતી તળાવની પવિત્રતા જળવાઇ રહેશે. ડાકોરમાં ડંકેશ્વર મંદિર પાસે આજે ગોમતી તળાવ ૨૩૦ હેકટર વિસ્તારમાં ફેલાયેલું છે. ડાકોર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું છે. તે આણંદથી ઉત્તર-પૂર્વમાં ૪૩ કિ.મી. અને નડિયાદથી ૩૫ કિ.મી. દૂર આવેલું છે.

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading