ગ્લોબલ વોર્મિંગ - સળગતી સમસ્યા

21 Dec 2014
0 mins read
વૈજ્ઞાનિકો એવું અનુમાન કરે છે કે વર્ષ ૨૦૨૫ થી ૨૦૭૫ ની વચ્ચેના સમયગાળામાં અંગારવાયુનું પ્રમાણ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા જેટલું હતું. તેનાથી બમણું થઈ જવા પામશે. આ રીતે અંગારવાયુની જમાવટથી વધારે માત્રામાં ઉષ્ણતા પૃથ્વી ઉપર રોકશે અને વૈશ્વિક તાપમાન ૧.૫ સે થી ૫.૫ સે સુધી વધી જવા પામશે. તેને લીધે બંને ધ્રુવો ઉપરનો બરફ પીગળવા માંડશે અને સમુદ્રોેની સપાટીઓ ૧ મી. થી ૩ મી. જેટલી ઊંચી આવશે અને તેના પરિણામે વિશ્વના નીચાણવાળા ભાગો જેવા કે ન્યુયોર્ક, લંડન, ટોકિયો, બાંગ્લાદેશ, લક્ષદ્વિપ અને નેધરલેન્ડ અને અન્ય વિસ્તારો પાણીમાં ડૂબી જશે.

કોપન હેગન ખાતે યોજાયેલી ગ્લોબલ વોર્મિંગની બેઠકમાં દુનિયાના દરેક દેશને ચેતવણી આપી કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા આપણી કમજોરી બને તે પહેલાં તેના કારણો દૂર કરવાના ઉપાયો કરવા પડશે છેલ્લા ૫૦ વર્ષમાં હવામાનના ઉષ્ણતામાનમાં ખૂબ વધારો થયો છે. ગરમીને લીધે ઉત્તર ધ્રુવની હિમાચ્છાદિત પર્વતમાળાઓ અને દક્ષિણ ધ્રુવના હિમાચ્છાદિત મેદાનો ઓગળી રહ્યા છે. તેથી આ ધ્રુવ પ્રદેશો ઠંડક ગુમાવી રહ્યા છે. બરફ ઓગળી દરિયામાં ઠલવાઈ રહ્યો છે. તેથી દરિયાની સપાટી વધવાથી કિનારાના શહેરો ડૂબવાની શક્યતા છે. ગરમીને કારણે મૃત્યુ આંક ઊંચો આવશે. શિયાળો-ઉનાળો અને ચોમાસાની ઋતુઓ અસ્થિર અને ઘાતક બની જશે. ધ્રુવ પ્રદેશોની ઠંડી ઘટવાથી અને હવાની તથા મહાસાગરોની ગરમી વધવાથી વિનાશક વાવાઝોડા સેંકડોની સંખ્યામાં નુકસાન કરશે. ભારતના ઉત્તરના રાજ્યોને આ બધાની વધુ અસર થશે. ઈ.સ. ૨૦૨૦ની આસપાસ દિલ્હીમાં જાન્યુઆરીમાં ઉનાળાની અસર જોવા મળશે. ગંગા, જમના, બ્રહ્મપુત્રા જેવી હિમાલયની નદીઓમાં હિમનદીઓ પીગળતા પુર આવતા નુકસાન થશે. પર્યાવરણ એટલે પૃથ્વી પરના જીવન અને વિકાસને અસર કરતી તમામ બાહ્ય પરિસ્થિતિઓ અને અસરો, માનવે બુદ્ધિ અને વિજ્ઞાનના બળે પર્યાવરણનો ઉપયોગ કરી પોતાનું સાંસ્કૃતિક માળખું સર્જ્યું છે. જેમાં ખેતીવાડી, ઉદ્યોગ, વાહનવ્યવહાર, વ્યાપાર અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ બધી આર્થિક પ્રવૃત્તિઓમાં પર્યાવરણ પાયામાં પડેલું છે. પર્યાવરણનો ઉપભોગ કરવા જતાં અને વિવિધ ઉદ્યોગોનો વિકાસ કરવા જતાં માનવે પ્રદૂષણને જન્મ આપ્યો છે. મિલ, કારખાનામાં ઝેરી-ધુમાડાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધી છે. પરિણામે હવા પ્રદૂષણ ફેલાયું છે. ઉદ્યોગ અને કારખાનામાં વપરાતાં દૂષિત થયેલાં પાણીએ જળપ્રદૂષણને જન્મ આપ્યો છે.

ઓઝોન સ્તરમાં ગાબડું


ગ્લોબલ વોર્મિંગની ઉપરોક્ત અસરોનું કારણ ઓઝોન સ્તરમાં ગાબડું છે. આપણી પૃથ્વીની ૧૫ થી ૫૦ કિ.મી. વચ્ચે આવેલ ઓઝોન (૦૩) વાયુના જાડા સ્તરમાં ફેરફાર થયો છે.જ્યારે સૂર્યનાં નીલાતીત કિરણો પ્રાણવાયુ (૦૨)ના અણુઓ ઉપર પડે છે. ત્યારે તેનું રૂપાંતર થઈ ૦૩ ઉત્પન્ન થાયછે.સૂર્યનાં નીલાતિત કિરણો કે જો સીધાં પૃથ્વી ઉપર પડે તો ઘણા જૈવિક અણુઓનો નાશ કરે એટલે કે સજીવોને હાનિ પહોંચાડે તેવા ૯૯ ટકા નીલાતિત કિરણોને પૃથ્વી ઉપર પડતાં અટકાવવાનું અગત્યનું કામ ઓઝોન વાયુનું સ્તર કરે છે. આપણું પર્યાવરણ ૦.૦૩ ટકા અંગારવાયુનું બનેલું છે અને આ વાયુની માત્રા છેલ્લી સદીમાં ૨૫ ટકા વધવા પામી છે. વાતાવરણનો અંગારવાયુએ ગ્રીનહાઉસના કાચ સમાન છે. સૂર્યની પ્રકાશરૂપી ઊર્જા અંગાવાયુમાંથી પસાર થઈ પૃથ્વી આવી પૃથ્વીને ગરમ રાખે છે. પરંતુ કેટલીક ગરમી નીલાતીત કિરણો અથવા ઉષ્ણતારૂપે આ અંગારવાયુના સ્તરની અંદર રોકાઈ જાય છે. વીસમી સદીમાં અંગારવાયુની માત્રામાં થયેલી વૃદ્ધિના કારણે વધારે પ્રમાણમાં નીલાતિત કિરણો અને ગરમી આ રીતે રોકાઈ ગયેલ છે અને પૃથ્વીનુ તાપમાન ૦.૫ સે જેટલું વધી જવા માપેલ છે. આ અંગારવાયુ પૈકીનો મોટાભાગનો કોલસાનું, તેલનું અને પેટ્રોલનું, કારખાના અને વાહનો દ્વારા થતા દહનના કારણે ઉત્પન્ન થયેલો છે. અન્ય પ્રદુષણકર્તા તત્ત્વો જેવા કે, મીથેન, નાઈટ્સ્ ઓક્સાઈડ અને કેટલાંક સલ્ફર સંયોજનો પણ ગ્રીનહાઉસ ઇફેક્ટમાં ભાગ ભજવે છે.

વૈજ્ઞાનિકો એવું અનુમાન કરે છે કે વર્ષ ૨૦૨૫ થી ૨૦૭૫ ની વચ્ચેના સમયગાળામાં અંગારવાયુનું પ્રમાણ ઔદ્યોગિક ક્રાંતિ પહેલા જેટલું હતું તેનાથી બમણું થઈ જવા પામશે. આ રીતે અંગારવાયુની જમાવટથી વધારે માત્રામાં ઉષ્ણતા પૃથ્વી ઉપર રોકશે અને વૈશ્વિક તાપમાન ૧.૫ સે થી ૫.૫ સે સુધી વધી જવા પામશે. તેને લીધે બંને ધ્રુવો ઉપરનો બરફ પીગળવા માંડશે અને સમુદ્રોેની સપાટીઓ ૧ મી. થી ૩ મી. જેટલી ઊંચી આવશે અને તેના પરિણામે વિશ્વના નીચાણવાળા ભાગો જેવા કે ન્યુયોર્ક, લંડન, ટોકિયો, બાંગ્લાદેશ, લક્ષદ્વિપ અને નેધરલેન્ડ અને અન્ય વિસ્તારો પાણીમાં ડૂબી જશે.

ગ્લોબલ વોર્મિંગને કાબુમાં લેવાના વૈશ્વિક પ્રયત્નો


- ઇન્ડોનેશિયાના સારાગોવા શહેરના લોકો એ અઠવાડિયામાં એક દિવસ પેટ્રોલ-ડિઝલ પંપ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
- ફ્રાન્સના પેરિસ શહેરના લોકોએ સાયકલ દ્વારા મોટાપાય પર અવરજવર શરૂ કરી છે.
- સ્વીડનના મિનિસ્ટ્રી ઓફ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના મંત્રીએ ૨૦૨૦ સુધીમાં સ્વીડનમાં ખનીજતેલનો વપરાશ શૂન્ય કરવાનું આયોજન કર્યું છે.
- વર્ષ ૨૦૦૪નું શાંતિનું નોબેલ પારિતોષિક વિજેતા કેનિયાના વાંગારી મથાઇએ ૧૯૭૭ થી કેનિયામાં ‘ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ’ અભિયાન છેડ્યું છે. તેમણે ૩ કરોડ વૃક્ષો ઉછેરવાનું કામ કર્યું છે અને વર્ષ ૨૦૧૦ના અંત સુધીમાં તો ૧ અબજ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કર્યો છે.
- ભારતમાં મેઘા પાટકર, અરુંધતી રોય, સુનીતા નારાયણ, મધુસરિન જેવી મહિલાઓ કાર્બન કટક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપી રહી છે.

ગ્લોબલ વોર્મિંગથી બચવા આપણા પ્રયત્નો


- શક્ય તેટલા કામ પગે ચાલીને કરીએ ટૂંકા અંતરે જવા સાયકલનો વપરાશ કરીએ લાંબા અંતરની મુસાફરી માટે સામૂહિક પરિવહનનો ઉપયોગ કરીએ.
- કાગળનો ઉપયોગ ઘટાડીએ વપરાયેલા કાગળનો રિસાયક્લીંગ કરી ફરી ઉપયોગ કરીએ.
- એક બાજુ કોરો કે અર્ધા લખેલા કાગળને કાળજીપૂર્વક જુદા કરી રફકામમાં ઉપયોગમાં લઈએ પત્રવ્યવહારમાં આવેલા કવરને જરૂરી રીપેરીંગ કરી નવું કવર બનાવી પુનઃવપરાશમાં લઈએ.
- ઘરમાં વીજળીનો બચાવ કરીએ.
- ભોજન ગરમ કરવાં, પાણી ગરમ કરવા સૂર્યશક્તિનો ઉપયોગ કરીએ.
- તહેવારો, ધાર્મિક દિવસો કે શુભપ્રસંગોએ વીજળીનો બેફામ ઉપયોગ થતો રોકીએ.
- ફટાકડા ફોડવા ઉપર સંયમ રાખીએ.
- મોબાઈલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક ગેમ્સનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ.
- વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરીએ. - પ્રતિમાઓનું જળાશયોમાં વિસર્જન ન કરીએ.
- પ્લાસ્ટિકનો વપરાશ અટકાવીએ.
- વરસાદી પાણીને વહી જતું અટકાવવું, ખેતતલાવડી, ગામ તલાવડી, ભૂગર્ભ ટાંકા દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવો તથા ભૂગર્ભ જળનાં તળ ઊંચાલાવવાં.
- વોટર શેડ કાર્યક્રમનો અમલ કરવો.

ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયાને અટકાવવા માનવ સમાજ દ્વારા ખનીજ બળતની વૈશ્વિક માત્રામાં ૫૦ ટકા જેટલો ઘટાડો કરવો પડશે, વનોનું ઉન્મુલન અટાવવું પડશે. અને ઉજ્જડ વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષ વાવેતર કરવાનું અભિયાન શરૂ કરવું પડશે. કારણ કે વૃક્ષો અંગારવાયુને શોષે છે. દેશ કે રાજ્યની સરકારના કાર્યક્રમો માત્રથી આ સમસ્યા હલ થવાની નથી દેશના નાગરિકોએ વ્યક્તિગત રીતે ઉપરોક્ત પ્રયાસો દ્વારા તેમાં સહભાગી બનવું પડશે.

રૂપેશ જોષી
(લેખક શ્રી કે. વી. એસ. હાઈસ્કૂલમાં શિક્ષક છે.)
સંકલન: વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading