જળ સહયોગ-૨

વર્ષ ૨૦૧૩ના વિશ્વ જળ દિવસના અનુસંધાનમાં આ વર્ષને જળ સહયોગની થીમ સાથે જોડવામાં આવેલું છે. જળ સહયોગ એટલે પ્રવર્તમાન સમયમાં પાણીની વિવિધ જરૂરિયાત, તેની પ્રાથમિકતા, વિવિધ વપરાશકર્તાઓ અને વિવિધ ક્ષેત્રો વચ્ચે એક મજબૂત સંતુલન બનાવી રાખવું. આ સંતુલન બનાવી રાખવા માટે કેવા નિર્ણયો લેવા પડે એ અંગેની વાત આજે કરીશું.

[img_assist|nid=46285|title=JAL SAHYOG|desc=|link=none|align=left|width=370|height=262]માનવજીવનના સંદર્ભમાં પાણીની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે. આ સાથે પર્યાવરણીય સમસ્યાઓને કારણે વરસાદની અનિયમિતતા પણ વધતી જાય છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેટલાક વિસ્તારોને બાદ કરતાં અનિયમિત અને ઓછા વરસાદનું કહી શકાય. કચ્છ જિલ્લામાં વરસાદ વાર્ષિક સરેરાશ વરસાદ કરતાં પણ ઓછો છે. કચ્છપ્રદેશમાં આવેલા મોટા ભાગના તળાવો ખાલી છે અથવા તો અંશત: પાણીથી ભરાયેલા છે અને ભૂતળની સપાટી પણ ઊંડી ઊતરી ગઇ છે. આવા સંજોગોમાં કચ્છના પાડોશી જિલ્લો સુરેન્દ્રનગરના હળવદ તાલુકામાં આવેલા સામંતસર તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવેલું છે. અહીં નર્મદાના પાણીથી તળાવને ભરવાની સામે કોઇ વાંધો નથી પણ જે નર્મદાના પાણીથી એ તળાવ ભરવામાં આવેલું છે એ પાણી સરકારશ્રી દ્વારા કચ્છપ્રદેશ માટે ફાળવવામાં આવેલું હતું. તા. ૧૨-૦૯-૨૦૧૩ ના કચ્છમિત્ર દૈનિકમાં આ માહિતી 'હળવદનું તળાવ કચ્છની તરસથી ઓગન્યું' એવા શિર્ષક સાથે આપવામાં આવેલી છે. કચ્છપ્રદેશનું ગઇસાલનું વર્ષ દુકાળનું વર્ષ હતું. આ સાલનું વર્ષ પણ દુકાળનું જશે એવું લાગી રહ્યું છે. આવનારા સમયમાં પેયજળની ઉપલબ્ધિની અછત સર્જાવાના એંધાણ છે ત્યારે શું કચ્છપ્રદેશને ફાળવેલા નર્મદાના પાણીથી હળવદના તળાવને પાણીથી ભરવાનો નિર્ણય યોગ્ય છે ?....અહીં જળસહયોગના અનુસંધાનમાં પરસ્પર સમજૂતિની વાત આવે છે. સામંતસર તળાવને નર્મદાના પાણીથી ભરતાં પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશાસને કચ્છ જિલ્લાના પ્રશાસન સાથે વાત કરવી જોઇએ અને એક યોગ્ય તેમજ સુચારૂં નિર્ણય લેવો જોઇએ. છેલ્લા ત્રણેક દિવસથી શા માટે નર્મદાનું પાણી અનિયમિત અને ઓછું આવી રહ્યું છે તેનું કારણ કચ્છપ્રદેશની જનતાને હવે સમજાયું છે. એક વાત એ પણ નોંધવાની ઇચ્છા થાય છે કે, નજીકના ભૂતકાળમાં ઢાંકીથી હળવદ કેનાલમાં ઉભડક મશીનો દ્વારા પાણીની ચોરી સરેઆમ પકડાઇ હતી અને હવે સામંતસર જેવા તળાવો નર્મદાના પાણીથી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. કોઇના ભાગનું પાણી અન્ય કોઇ લઇ ન જાય એ માટે લોકપ્રતિનિધિઓએ એક સુનિશ્ચિત આયોજન ઘડી કાઢવું જોઇએ નહીતર આજે સુરેન્દ્રનગર જિલ્લાએ કચ્છ જિલ્લાનું પાણીની ઉઘાડી લુંટ કરી છે અને આ અક્ષમ્ય પગલું અન્ય કોઇ જિલ્લા માટે પણ 'પ્રેરણાસ્રોત' બની શકે છે. જો આવી સ્થિતિ નિર્માણ પામે તો જિલ્લાઓ વચ્ચે શાંતિ અને સુમેળ રહે નહી અને વર્ષ ૨૦૧૩ના વિશ્વ જળ દિવસની થીમ 'જળ સહયોગ'નો હેતુનું બાળમરણ થાય..!

કચ્છમાં નર્મદાના પાણી બાબતની થોડી આંકડાકીય માહિતી જોઇએ તો, ગ્રામ્ય વિસ્તારમાં દૈનિક ૧૩૩.૪૪ મિલીયન લિટર/ડે(દસ લાખ લી/દિવસ-એમ. એલ. ડી.), શહેરી વિસ્તારમાં ૮૮.૩૩ એમ. એલ. ડી., ઔદ્યોગીક એકમોને ૯૫.૬૬ એમ. એલ. ડી. અને પશુધનને ૫૬.૮૯ એમ. એલ. ડી. મળીને કુલ ૩૭૪.૩૨ એમ. એલ. ડી. જળની જરૂરિયાત છે તેની સામે સ્થાનિક સોર્સ દ્વારા ૧૫૫ એમ. એલ. ડી. અને નર્મદાનું ૨૦૦ એમ. એલ. ડી. મળીને ૩૫૫ એમ. એલ. ડી. પાણીના જથ્થાનું વિતરણ કરવામાં આવે છે.(સૌજન્ય: શ્રી આર. એલ. પટેલ-મુખ્ય ઇજનેર, પાણી પૂરવઠા બોર્ડ). પાણી પૂરવઠા બોર્ડ હસ્તક શહેર અને ગામડાઓના મળીને કુલ ૫૯૮ બોરવેલ છે. અહીં ગંભીર બાબત એ છે કે, પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે. એ અંદાજ પ્રમાણે ભૂજળ ૪ મીટર જેટલા ઊંડા ઉતરી ગયા છે. વળી, પાણી વધારે નબળી ગુણવત્તાવાળું થયું છે, એટલે કે ખારાશ, ફલોરાઇડ વગેરે જેવા તત્વોનું પ્રમાણ પણ વધ્યું છે. આ વર્ષે પણ વરસાદ ઓછો થયો છે માટે પાણીનું સ્તર હજુ પણ વધારે ઊંડે ઉતરી જવાની ભીતિ છે, કારણ કે ભૂજળના વપરાશની સામે ભૂજળનું અનુશ્રવણ ઘણું ઓછું છે અથવા તો કરવામાં આવતું જ નથી. જળ સહયોગના અનુસંધાનમાં વાત કરીએ તો પાણી આપણી પોતાની જરૂરિયાત છે. જળ સહયોગ માટે જેમ સપાટીય સ્રોતો માટે વિવિધ ક્ષેત્રોને જોડી શકાય છે તેમ ભૂગર્ભજળ માટે પણ જોડાણની શકયતાઓ વિચારી શકાય છે. આ માટે બન્ને પ્રકારના જળ સ્રોતોને લઇને કેટલીક તાંત્રિક બાબતોને ધ્યાનમાં લેવી જોઇએ. જળવિભાજક(વોટરશેડ)ના સંદર્ભમાં આવકક્ષેત્ર, જળાશય ક્ષેત્ર, ઉપયોગ ક્ષેત્ર અને છેવાડાના વપરાશકર્તાઓ વગેરે બાબતોને સપાટીય જળ માટે ચોક્કસ કરી શકાય છે. એવી જ રીતે ભૂગર્ભજળ માટે પણ આવા વિવિધ ક્ષેત્રોને અંકિત કરી શકાય છે.

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading