કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા-૧

આશરે ૬૦ કરોડ વર્ષ પહેલા પૃથ્વીની ઉત્પતિ થઇ છે એવો અંદાજ બાંધવામાં આવેલો છે. કચ્છનું ભૂસ્તર બનવાની શરૂઆત ૧૮ કરોડ વર્ષ પહેલા થઇ હતી. આ સમયે ઉપરની તરફ દરિયો અને તેની નીચે જમીન જેવી પરિસ્થિતિ હતી. કાળક્રમે જમીનની અંદર ભૌગોલિક ફેરફાર જેવા કે, જવાળામુખીની હલચલ, પૃથ્વીના જમીન ભાગોની પ્લેટોનું એકબીજા તરફ સરકવું વગેરે જેવા કારણોને લીધે ધીરે-ધીરે જમીનનો ભાગ ઉપર આવવા લાગ્યો અને દરિયો જમીન ઉપરથી સરકવા લાગ્યો હતો. પૃથ્વીનો જમીનનો ભાગ જે સમયે અલગ-અલગ ખંડોમાં વિભાજિત થયેલો ન હતો ત્યારે ભારતીય પ્લેટ(ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ)નું યુરેશિયન પ્લેટ સાથે અથડાવાથી બન્ને વચ્ચે ટ્રિથીસ સમુદ્રમાં બની રહેલા ખડકો ઊંચકાઇને હિમાલય પર્વતનું નિર્માણ થવાનું શરૂ થયું હતું. આ ઘટના સમયે કચ્છની જમીન પણ દરિયાની બહાર આવવાની શરૂઆત થઇ હતી. આ સમયને પૃથ્વીના ઉત્પતિકાળના મોસોઝોઇક યુગ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છમાં મળી આવતાં અગત્યના જીવાશેષો એમોનોઇડ આ બાબતની પૂર્તતા કરે છે. કચ્છમાં મળી આવતાં શેલ(મુલઇ), ફાઇન ગ્રેઇન સેન્ડસ્ટોન-ઝીણાદાણાવાળો સાગના એકાંતીકરણ તથા ચીકણી માટીના ખડકો અને ચૂનાના પથ્થરોના ખડકોના એંકાંતીકરણ એ દરિયાઇ બનાવટના ખડકો હોવા છતાં પણ કચ્છના મોટા ભાગના ડુંગરો મળી આવે છે જે સૂચવે છે કે, કચ્છની જમીન દરિયામાંથી બહાર આવી છે. આજે પણ આવા ખડકોમાંથી મળી આવતું પાણી વધારે માત્રામાં ખારાશ ધરાવે છે જેને જન્મજાત ખારાશ કહેવામાં આવે છે. ૧૮ કરોડ વર્ષ પહેલા ગુજરાતનો ઉત્તર-પૂર્વનો થોડો ભાગ જમીન સ્વરૂપે હતો. આશરે ૨૦ લાખ વર્ષની આસપાસ સૌરાષ્ટ્ર અને કચ્છનો મેઇનલેન્ડ પ્રદેશ દરિયામાંથી બહાર ઉપસી આવ્યો હતો. ત્યારબાદ છેલ્લા ૨૦ હજારથી ૫ હજાર વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રનો તમામ ભાગ, મોટાભાગનો કચ્છ મેઇનલેન્ડ તથા કેટલાક ટાપુઓ બહાર આવ્યા અને અંતે આશરે ૫ હજાર વર્ષ પહેલા હાલમાં છે તે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું અસ્તિ_વ પામ્યું હતું. ઇતિહાસમાં નોંધ છે કે એલેકઝાન્ડર(૩૨૫ બી.સી.)કચ્છની ધરતી ઉપર બન્નીના દરિયાઇ માર્ગે આવ્યો હતો.

પૃથ્વી ઉપર જીવસૃષ્ટ્રીની શરૂઆત આશરે ૩૫૦ કરોડ વર્ષ પહેલા થઇ હતી. સૌથી પહેલો દરિયાઇ જીવ અમીબા હતો. અમીબા બાદ માછલીઓ, નાના જીવાણુઓ તેમજ પ્રાણીઓ, ડાયનોસર, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ અસ્તિ_વમાં આવ્યા હતા. માનવની ઉત્પતિ આશરે ૧ લાખ વર્ષ પહેલા થઇ હતી એમ માનવામાં આવે છે. કચ્છમાં વનસ્પતિઓ ઉગવાની શરૂઆત આશરે ૭ થી ૮ કરોડ વર્ષ પહેલા થઇ હતી. કચ્છના ભૂસ્તરની રચના મુખ્યત્વે દરિયાઇ ગમન-આગમન અને ટેકટોનીક પ્રક્રિયા જેવી કે, જવાળામુખી ફાટવાને લીધે કે પ્લટો એકબીજા સાથે અથડાવાના કારણે થતાં ધરતીકંપને લીધે થઇ છે. જવાળામુખીના કારણે અગ્નિકૃત ખડકો બન્યા જયારે દરિયાઇ અને વહેતાં પાણી તેમજ હવાના લીધે જળકૃત ખડકો બન્યા છે. ટેકટોનીક પ્રક્રિયાને કારણે વિકૃત ખડકો બન્યા છે. કાળમીંઢ જળકૃત ખડક છે જે કચ્છમાં જૂજ પ્રમાણમાં જોવા મળે છે. કચ્છમાં જોવા મળતાં સેન્ડસ્ટોન, શેલ, ચીકણી માટી, ચૂનાનો પથ્થર, અશ્મિયુકત ચૂનાનો પથ્થરને જળકૃત ખડકો તરીકે ઓળખવામાં આવે છે જે મુખ્યત્વે દરિયાઇ પાણી, નદીના વહેતા પાણી અને હવાથી ઉડીને આવેલી રેતીના કારણે બનેલા છે. જવાળામુખીના કારણે ચૂનાના પથ્થરોમાં ઘૂસી ગયેલા લાવારસના લીધે ઉત્પન્ન થયેલી ગરમી અને દબાણને કારણે આવેલા બદલાવથી બનેલા ખડકોને ક્રિસ્ટલાઇન લાઇમ સ્ટોન તરીકે ઓળખવામાં આવે છે અને સ્તરભંગના કારણે બનોલા ખડકોના ટુકડાઓનું ફરીથી નવા ખડકોમાં રૂપાંતરણ થવાથી બનેલા ખડકોને ફોલ્ટ બ્રેસીયા તરીકે ઓળખવામાં આવે છે આ બન્ને ખડકોને ભૂસ્તરવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી વિકૃત ખડકો કહેવામાં આવે છે.

જમીનમાંથી મળી આવતાં પાણીને ભૂગર્ભજળ કહેવામાં આવે છે. જમીનનું અંદર રહેલું આ ભૂગર્ભજળ આમ તો વરસાદનું સંગ્રહ થયેલું પાણી જ હોય છે જે જમીન અંદર રહેલા ખડકોમાં વહેતાં હોય છે અને જે-તે ખડકોમાંથી પસાર થાય છે એ પ્રમાણે તેની ગુણવત્તામાં ફેરફાર થાય છે. પાણી જે ખડકોમાંથી પસાર થાય છે અથવા જે ખડકોમાંથી પાણી મળી આવે છે તેને એકિવફર તરીકે ઓળખવામાં આવે છે. આવા ખડકોની પણ પોતાની આગવી લાક્ષણિકતા હોય છે જેમ કે, જે ખડક પાણી લે, સંગ્રહ કરે અને મુકત પણ કરે તેને એકિવફર, જે ખડક પાણી સંગ્રહ કરે પણ મુકત કરે નહી તેને એકિવકલુડ અને જે ખડક પાણી સંગ્રહ પણ ન કરે અને મુકત પણ ન કરે તેને એકિવફયુઝ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છના સંદર્ભમાં પાણીની યાત્રા જાણવી હોય તો કચ્છપ્રદેશને ઓળખવો પડે. કચ્છપ્રદેશની વિવિધતા પ્રમાણે કચ્છમાં નવ પ્રકારના પાણી મળી આવે છે એમ કહી શકાય! કચ્છમાં આજે જે-તે વિસ્તાર જે નામથી ઓળખાય છે તે પહેલા પર્યાવરણ અને ત્યાંના રહેવાશીઓની જાતિ ઉપરથી ઓળખાતો હતો, જેમ કે, ભુજ વિસ્તાર એટલે બન્ની, પચ્છમ, પાવર(આહીરપટ્ટી) અને મિયાણી પટ્ટી. એ જ પ્રમાણે નખત્રાણા-માખપટ્ટ, અબડાસા-ગેરડો, ભચાઉ-પ્રાથડ, રાપર-વાગડ, લખપત અને અબડાસાનો દરિયાકાંઠો-કડ, મુન્દ્રાની સાથે ગાંધીધામ-ઉગમણી કંઠી, માંડવી અને અબડાસાનો અમુક ભાગ-આથમણી કંઠી, અંજાર-અંજાર ચોવિસી અને મુન્દ્રાના અમુક ભાગને ભુવડ ચોવિસી તરીકે ઓળખવામાં આવતાં હતા.

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading