કુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, લાલચને નહી...!

આપણી આ સુંદર વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે જેને શાસ્ત્રોમાં પંચમહાભૂતો કહેવાયા છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, વિવિધ સ્વરૂપે ખનિજો અને પંચ આવરણનું એક સ્વરૂપ એટલે પર્યાવરણ. વસુંધરાના જેટલા વિસ્તારોમાં સજીવો વસવાટ કરી રહ્યા છે એ જૈવમંડળમાં આશરે ૩,૫૦,૦૦૦ જાતિઓ અને ૧૦,૭૫,૮૪૦ પ્રાણીઓની જાતિઓ વસે છે. પર્યાવરણ એટલે માનવની આસપાસની સજીવ-નીર્જિવ સૃષ્ટિ! સમગ્ર સૃષ્ટિમાં માનવ, જીવજંતુઓ, પ્રાણીઓ, પંખીઓ અને વનસ્પતિઓ નભે, વિહરે અને સૌ કોઇ પોત પોતાની રીતે પોતાનું જીવન સરળતાથી ચલાવી શકે એવી કુદરતી વ્યવસ્થા હતી!....કદાચ હજુ પણ છે...પરંતુ માનવ નામના સામાજિક પ્રાણીએ વસુંધરા ઉપરની બધી જ કુદરતી સંપત્તિને પોતાની માની તેનો વિજ્ઞાન અને ટેકનોલોજિના સંદર્ભમાં ઉપયોગ કરી ઘણું બધું પોતાના જીવન માટે મેળવ્યું...અને સાથે-સાથે કુદરતી પર્યાવરણને વિનાશની સમીપે પહોચાડી દીધુ છે. પરમ પૂજય મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, 'કુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે પણ લાલચને નહી.' ગાંધીજીએ કહેલા આ વિધા નમાં પર્યાવરણની આખી વિભાવના પ્રજવલિત થાય છે. ગાંધીજીએ કહેલા આ એક વાકયથી જ પર્યાવરણ એટલે શું એ યર્થાથ સમજાય જાય છે. પર્યાવરણ એ કુદરતની સંતુલિત અવસ્થા છે. પર્યાવરણ એટલે હવા, પાણી, જમીન, જંગલ અને જાનવર. પર્યાવરણના આ પાંચ પરિબળોમાં હવા, પાણી, જમીન અને જંગલ છે માટે જાનવર(પશુ, પક્ષી, જળચર અને માનવ) છે. જાનવરનું અસ્તિત્વ સદાકાળ રહે એ માટે પર્યાવરણના ચાર પરિબળો વચ્ચે સંતુલન રહેવું ખૂબ જ જરૂરી છે. જોકે આજના સંજોગો દર્શાવે છે કે, આ ચારેય પરિબળો વચ્ચે સંતુલન વિચલીત થઇ ગયું છે. કુદરત તરફથી અમૂલ્ય ભેંટ તરીકે વસુંધરા મળી છે કે જેના ઉપર જીવન શકય છે. વસુંધરા ઉપર જીવન એટલે શકય છે કે તેને એક ચોક્કસ સંતુલિત પર્યાવરણ મળેલું છે. વર્ષો, સદીઓ અને યુગો બાદ આજે આ પર્યાવરણની સ્થિતિ સારી રહી નથી. જાનવર(માનવ એમ વાંચો) દ્વારા પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવાની પ્રક્રિયાઓ થઇ રહી છે. પ્રદૂષણ એટલે અયોગ્ય પ્રવૃતિ દ્વારા પર્યાવરણને કરવામાં આવેલું નુકશાન કે જે વસુંધરા ઉપર રહેતાં દરેક સજીવના જીવનને નુકશાનકર્તા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, પ્રદૂષણ એટલે પ્રકૃતિના સંદર્ભમાં કરવામાં આવેલી અપ્રાકૃતિક પ્રવૃતિઓ જે જીવનને સરળતાપૂર્વક ચલાવવામાં બાધારૂપ છે. પ્રકૃતિના ઉદ્ભવની સાથે તેમા કુદરતી રીતે સંતુલન રહેલું હતું. આ સંતુલન પ્રકૃતિના વિકાસને વેગવંતુ રાખતું હતું પણ પ્રદૂષણને કારણે પ્રકૃતિના વિકાસમાં ખલેલ થઇ રહ્યી છે જેને કારણે પ્રકૃતિનું સંતુલન અસંતુલિત થઇ રહ્યું છે. પ્રકૃતિમાં થયેલું અસંતુલન વસુંધરા ઉપર શ્વાસ લઇ રહેલા દરેક સજીવના જીવનને દુષ્કર બનાવી રહ્યું છે. પ્રદૂષણ પ્રકૃતિ(પર્યાવરણ) માટે કેન્સર છે. જેમ કેન્સરના એક બે કે ત્રણ અને પછી 'લાસ્ટ' સ્ટેજ હોય છે તેમ પ્રદૂષણ પણ પ્રથમ, દ્વિતિય કે અંતિમ તબક્કાનું હોય છે. હાલમાં વસુંધરા ઉપર દ્વિતિય તબક્કાનું પ્રદૂષણ ફેલાય રહ્યું છે એવું પર્યાવરણ નિષ્ણાંતોનું તારણ છે. પ્રથમ તબક્કાના પ્રદૂષણમાં ફકત હવા અને પાણી જ પ્રદૂષિત થઇ રહ્યા હતા જયારે આજે હવા, પાણીની સાથે જમીન અને અવકાશ પણ પ્રદૂષિત થઇ રહ્યા છે. માનવોની પ્રવૃતિઓ દ્વારા હવા અને પાણીનું પ્રદૂષણ તેની ચરમસીમા ઉપર પહોચી ગયું છે ત્યારે હાલમાં વિજ્ઞાન અને ટેકનોલોજિની અસિમિત પ્રગતિને કારણે હવાના પ્રદૂષણ માટે કારક પરિબળોમાં વિદ્યુત ચુંબકિય તરંગોનો ઉમેરો થયો છે. ઇલેકટ્રોનિકસની ઝડપી પ્રગતિ તેના માટે જવાબદાર છે. હાલમાં વિશ્વમાં ટેલિવિઝન અને સેલફોનનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે જેને કારણે પર્યાવરણમાં વિદ્યુતચુંબકિય તરંગોનું પ્રમાણ પહેલાના સમયની સરખામણીમાં વધી ગયું છે. આ વિદ્યુતચુંબકિય તરંગો પક્ષીજગતને નુકશાન કરે છે. પક્ષીઓને દિશાજ્ઞાન અંગેની કુદરતી બક્ષીસ હોય છે. પક્ષીઓ પર્યાવરણમાંથી કુદરતી રીતે પ્રસારતી થતા તરંગોના આધારે પોતાના ગંતવ્ય સ્થાનની દિશાઓ નક્કી કરતાં હોય છે. વિદ્યુતચુંબકિય તરંગો આ પ્રક્રિયામાં બાધારૂપ છે. આ બાધાને કારણે પક્ષીઓ પોતાનું ઉડ્ડયન યોગ્ય રીતે કરી શકતા નથી અને દિશાવિહિન પક્ષીઓ અંતે મૃત્યુ પામે છે. પક્ષીઓને નડતું હવાનું પ્રદૂષણ માનવોને અલગ રીતે સ્પર્શે છે. હવામાં ફેલાયેલા વિદ્યુતચુંબકિય તરંગો માનવ શરીરનાં રહેલા અણુઓમાં રહેલા ઇલેકટ્રોનને અસર કરે છે. ઇલેકટ્રોન આંદોલિત અવસ્થામાં હોય છે. વિદ્યુતચુંબકિય તરંગોને કારણે તેમની આંદોલન ગતિમાં વિક્ષેપ પડે છે. જેને કારણે માનવ શરીરમાં રહેલા અણુઓનું સંતુલન વિચલીત થાય છે. સંશોધન પ્રમાણે આવા વિચલિત અવસ્થાવાળા અણુઓને કારણે માનવ શરીરમાં માથાનો દુખાવો, કળતર જેવી બિમારી કાયમી રહે છે. પાણીના સંદર્ભમાં વાત કરીએ તો હાલમાં ભારતવર્ષમાં ભૂગર્ભજળનું શોષણ ક્રુરતાપૂર્વક થઇ રહ્યું છે. વસુંધરાના પેટાળમાં રહેલું પાણી માનવી પોતાના લોભ, અને લાલસાને સંતોષવા ખતમ કરી રહ્યો છે. આ ઉપરાંત જમીન સપાટી ઉપર રહેલા સપાટીય સ્રોતો જેવા કે, નદી, તળાવોમાં માનવ ગંદકી ફેલાવીને પાણીના પ્રદૂષણની માત્રાને વધારી રહ્યો છે. એ જ પ્રમાણે જમીનમાં રહેલા ખનિજ તત્વોનું ખનન પણ માનવ એ જ એકધારી ગતિથી કરી રહ્યો છે. વસુંધરા ઉપર જંગલોનો સફાયો પણ તિવ્રતાથી થઇ રહ્યો છે. જંગલોનો નાશ થવાથી કુદરતી રીતે સ્થાપિત થયેલા જળચક્રમાં પણ ખલેલ પહોચી છે જેને કારણે વરસાદની અનિયમિતા વધી ગઇ છે. આજના સમયમાં પર્યાવરણ ઉપર પ્રદૂષણની માત્રા એટલી વધી ગઇ છે કે, હવે તેને અટકાવવું લગભગ અશકય છે. માનવની આંખો ઉપર લાલચની પટ્ટીઓ લાગેલી છે. આ પટ્ટીઓ જયારે ખૂલશે ત્યારે માનવની આંખો કાયમ માટે મિંચાઇ જશે કારણ કે એ સમયે વસુંધરા પ્રદૂષણની અધિક માત્રાને કારણે જીવન જીવવા યોગ્ય હશે કે કેમ તે એક કોયડો છે! વિનીત કુંભારાણા

Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading