પાણીના ગંભીરતમ પ્રશ્નોને કાયમી ધોરણે કઇ રીતે ઉકેલી શકાય ?

પાણીનો પ્રશ્નએ વિશ્વનો ગંભીરતમ પ્રશ્ન છે. ઘણા દેશો પીવાના પાણીની આયાત કરે છે. એમ કહવાય છે કે હવે પછીનું યુધ્દ્ધ પાણી માટે થશે. મોટા ભાગનું પાણી બરફના સ્વરૂપમાં થીજી ગયેલું છે. વિશ્વમાં જમીન પરના કુદરતી અને કૃત્રિમ જળસંગ્રહ સ્થાનોમાં કુલ મીઠા પાણીનો ભાગ ૧ ટકા પણ નથી, માત્ર ૦.૩૬૬ ટકા જ છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં વિશ્વના ૪૮ દેશોમાં પાણીની કારમી કટોકટી પ્રવર્તશે અને તેના કારણે પાણી રમખાણો, યુધ્ધો, સંઘર્ષો<, હિંસા ફાટી નીકળશે. અત્યારે વિશ્વના દેશો કે જેમાં ૪૦ ટકા પ્રજા રહે છે, ત્યાં પાણીના ગંભીરતમ પ્રશ્નો છે.

આપણા દેશમાં ૫૦ ટકાથી વધારે લોકોને શુધ્દ્ધ સલામત પીવાનું પાણી મળતું નથી. પાણીના પ્રદૂષ્ણના પ્રશ્નો ગંભીર બની રહ્યા છે. દેશની મહાનદીઓ સૌથી વધારે પ્રદુષિત છે. ગુજરાત રાજયના ૧૫ જિલ્લાઓમાં ફલોરાઇડવાળા પાણીના અને ૧૬ જિલ્લાઓમાં ખારા પાણીના પ્રશ્નો છે. બોરવેલ દ્રારા મેળવાતા પાણીમાં ફલોરાઇડ અને નાઇટ્રેટનું પ્રમાણ વધતું જાય છે. ખારાશની તીવ્ર સમસ્યાવાળા ગામોની સંખ્યા ૪૫૦થી વધારે છે, તો ૪૦૦ ગામોમાં પાણીમાં નાઇટ્રેટના પ્રશ્નો છે. ગુજરાતમાં ૮૫ ઉપરાંત નદીઓ છે. પણ બારમાસી નદીએા તો ૮ જ છે.

એક અભ્યાસ પ્રમાણે ભારતમાં ૧ ઘનમીટર પાણીના ઉપયોગ દ્રારા ૭.૫ અમેરિકન ડોલરના મૂલ્યનું ઉત્પાદન થાય છે. જયારે આટલા જ પાણીના ઊપયાગથી બ્રિટનમાં ૪૪૩.૭ ડોલર અને સ્વીડનમાં ૯૨.૨ ડોલરના મૂલ્યનું ઉત્પાદન થાય છે. આમ, આપણા દેશમાં વધારે પાણીથી ઓછું ઉત્પાદન થાય છે. ખેતીના પાકોની તરાહ એવી છે કે તેમાં વધારે પાણીની જરૂર છે, તો ઉદ્યોગોને પણ મોટા પ્રમાણમાં પાણીની જરૂર છે.

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટના અભ્યાસ પ્રમાણે ભારતના ઉદ્યોગો ૧ લીટર પાણીના વપરાશ સામે ૫થી ૮ લીટર પાણી પ્રદુષિત કરે છે. ભારતીય ઉદ્યોગો પ્રતિ વર્ષ આશરે ૪૦ અબજ ઘનમીટર પાણીનો વપરાશ કરે છે. અને ૨૦૦થી ૩૨૦ અબજ ઘનમીટર પાણી પ્રદુષિત કરે છે.

આપણે ત્યાં ઉનાળાના આરંભે જ પીવાના પાણીના પ્રÅનો ગંભીર બનવા લાગ્યા છે. શહેરો અને ગામોમાં પાણીના પ્રશ્નો છે. રાજય સરકાર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા ઉપરાંત અન્ય પ્રયાસો કરે છે. નગરપાલિકાઓ અને પંચાયતો પણ પોતાની રીતે પાણીના પ્રશ્નો હળવા બનાવવાના પ્રયાસો કરે છે, પરંતુ હવે એ સમય આવી ગયો છે કે પાણીના પ્રશ્નો ઉકેલવાના કાયમી ધોરણે પ્રયાસો કરવા જ જોઇએ.

સૌ પ્રથમ તો સપ્રમાણ સમયસર અને પૂરતા વરસાદ માટે આપણે જંગલો અને વૃક્ષોની વ્યાપક ઝૂંબેશ હાથ ધરવી જોઇશે. 'છોડમાં રણછોડ છે' આ મહામંત્રને સૌએ આત્મસાત કરવો પડશે. એક વ્યકિતએ ઓછામાં ઓછા બે વૃક્ષોને ઉછેરવાની કામગીરી માટે સંકલ્પબદ્ધ થવું જોઇએ. એજ રીતે દરેક શેરીઓ, સોસાયટીઓ, ઘરઆંગણે, ખેતરના શેઢે, સીમમાં, ખરાબાની અને બિન ઉપયોગી જમીન, દરિયા કિનારે, પહાડીઓ વગેરેમાં વ્યાપક પ્રમાણમાં વૃક્ષ ઊછેર અભિયાન હાથ ધરવું જોઇએ. જંગલો કે વૃક્ષો કાપનારાઓને આકરામાં આકરી સજા થવી જોઇએ. વધારે ઊંચા અને ઘેઘૂર, ઘટાટોપ વૃક્ષો અને જંગલોથી વધારે વરસાદ આવશે. આજે પણ જંગલાચ્છાદિત વિસ્તારોમાં વધારે વરસાદ પડે જ છે અને વારંવાર પડે છે. આથી પાણીના પ્રશ્નો હલ થઇ શકશે.

જળસંચય અભિયાનની પણ તાતી આવશ્યકતા છે. વર્ષ ૧૯૯૯-૨૦૦૦ની આસપાસ લોકોમાં જે જળજાગૃતિ અને ચેતના આવી હતી તેના કરતાં અનેક ગણી લોકચેતનાની જરૂર છે. સૂકી નદીઓને ઊંડી અને પહોળી બનાવીને તેમાં વરસાદના પાણીને સંગ્રહ કરવું જોઇએ. આ ઉપરાંત તળાવો અને ચેકડેમોમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઇએ. ચોટીલા જેવા વિસ્તારો કે જયાં ચારેબાજુ પહાડીઓ/ટેકરીઓ આવેલી છે તેમાં નર્મદા, મહી, તાપીનું પૂરતું પાણી ભરીને પાણીના પ્રશ્નોને કાયમી રીતે હલ કરી શકાય, કારણ કે બાંધકામનું ખર્ચ ઓછું આવશે અને વિશાળ મહાસાગરો તૈયાર થશે. કલ્પસર યોજનાનો સત્વરે અમલ કરવા ઉપરાંત બારમાસી મોટી નદીઓને સાંકળીને સૂકી નદીઓમાં તેના પાણીને ઠાલવવું જોઇએ.

કૂવાના પાણીના તળ ઊંચા લાવવા માટે ચેકડેમની કામગીરી જ સૌથી વધારે શ્રેષ્ઠ છે. આ માટે રાજય સરકારની સરદાર પટેલના નામે જળસંચય યોજના અને કેન્દ્રની વોટરશેડ યોજના છે. એક ગામમાં સરેરાશ ઓછામાં ઓછા ૭૫ ચેકડેમ જોઇએ. તે હિસાબે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ૧૩,૫૦,૦૦૦ ચેકડેમની જરૂર છે. ગ્રામીણ વિસ્તારોમાં સરેરાશ ૭૫ થી ૩૦૦ ચેકડેમો અને શહેરી વિસ્તારોમાં સરેરાશ ૧૦૦૦ થી ૧૦,૦૦૦ ચેકડેમોની જરૂર છે. લોકો પોતાનો ફાળો સાધનો અને શ્રમ દ્વારા તેમજ શહેરો અને વિદેશોમાં સ્થાયી થયેલા મૂળ ગામના લોકોનો ફાળો અને સરકારી સહાયથી અત્યારથી જ ચેકડેમોની કામગીરીને એક લોકઆંદોલનનાં સ્વરૂપમાં સત્વરે શરૂ કરવાની જરૂર છે.

દેશમાં સિંચાઇ અને પીવાના પાણીનું મુખ્ય સ્રોત કૂવાઓ છે, તો ચોમાસાના કૂવા રિચાર્જ કામગીરીને ચેકડેમની સાથે જ આવરી લેવાની આવશ્યકતા છે. કૂવા રિચાર્જની કામગીરીમાં ખેતર કે વાડીમાં આવેલા કૂવા નજીક કૂંડી બનાવીને વહી જતાં પાણીને ઢાળ, પાળા, આડબંધ દ્વારા રોકીને તેને કૂંડીમાં ઠાલવવું જોઇએ. કૂંડીના પાણીને ૧૮ ઇંચના પાઇપ દ્વારા કૂવામાં ઊતારીને તે પાણી કૂવામાં જાય, તે જાતની વ્યવસ્થા કરવી જોઇએ. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પ થી ૧૦ મોટા ડેમો બાંધીને તેમાં વરસાદનું પાણી સંગ્રહી શકાય. 'જળ એજ જીવન' છે તે માત્ર મનુષ્ય જ નહીં પણ, તમામ પ્રાણીઓ, તમામ સૃષ્ટિ, સમગ્ર સમાજ અર્થકારણ અને સંસ્કૃતિ માટે પણ સાચું છે.

વિનીત કુંભારાણા

Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading