પર્યાવરણ ઓડિટ

વર્તમાન સદીના પ્રથમ દાયકામાં માનવી સમક્ષ અનેક કુદરતી અને માનવસર્જિત વૈશ્વિક સમસ્યાઓએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. માનવી સહતિ સમગ્ર જીવસૃષ્ટિ પર્યાવરણ પર આધારિત છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં કહી શકાય કે માત્ર માનવી જ પર્યાવરણનો દુશ્મન છે. પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર એકમાત્ર માનવસૃષ્ટિ જ છે. આધુનિકરણ તેમ જ વધુને વધુ સફળતા પ્રાપ્ત કરવાની ખોટી ઘેલછાને લીધે આપણે પર્યાવરણનો વિનાશ નોતર્યો છે.

પર્યાવરણ એટલે પરિ+આવરણ “પરિ” એટલે આસપાસનું અને “આવરણ” એટલે આચ્છાદન. માનવ સહિત તમામ જીવસૃષ્ટિ જેના ઉપર આધાર રાખે છે તેવા સંપૂર્ણ જૈવિક અને અજૈવિક પરિબળો સાથેની સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા અને તેના દ્વારા નીપજતા સંકુલને પર્યાવરણ તરીકે ઓળખાવી શકાય. આમ, માનવજીવનનું અસ્તિત્વ પર્યાવરણની ગેરહાજરીમાં કલ્પી શકાતું નથી. માનવીને પર્યાવરણની સતત જરૂર પડે છે, તેથી પર્યાવરણનું પ્રદૂષણ એ માનવી માટે ગંભીર સમસ્યા સર્જે છે.

આજે એક તરફ આપણે તંદુરસ્ત જીવનના શમણાં જોઈએ છીએ અને બીજી તરફ પર્યાવરણને દૂષિત કરવામાં મગ્ન છીએ. પર્યાવરણ એ એક વિશાળ ક્ષેત્ર છે. જેની સાથે સંકળાયેલાં વર્ગો પણ વિશાળ છે. જેમાં પર્યાવરણવિદો, સામુદાયિક ગ્રાહકો, ધંધાકીય વર્ગો, વેપારી ગણ, કર્મચારી ગણ, કાયદા કાનૂન, મહેસૂલી વર્ગ, નાણાંકીય મંડળો વગેરેનો સમાવેશ કરી શકાય. વર્તમાન સમયમાં ઉદ્યોગો દ્વારા પર્યાવરણ પ્રદૂષિત થતું હોવા વિશે ખૂબ ઊહાપોહ થઈ રહ્યો છે. તેથી ધંધાકીય સાહસ પર્યાવરણને પ્રદૂષિત નહિ કરે તે જોવું ખાસ જરૂરી છે અને તે માટે પર્યાવરણની દૃષ્ટિથી ધંધાકીય સાહસની કામગીરીની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. આ માટેનું એક સાધન છે, “પર્યાવરણ ઓડિટ”. આ એક સંચાલકીય ઓજાર છે, જેમાં સાહસ, સંચાલકો અને સાધનો પર્યાવરણના સંરક્ષણની કામગીરી કેવી બજાવે છે તેની પદ્ધતિસરની, વખતોવખત થતી નિષ્પક્ષ તપાસ છે. આંતરરાષ્ટ્રીય ચેમ્બર ઓફ કોમર્સના મતે, “પર્યાવરણ ઓડિટ એક વહીવટી સાધન છે. જેનું ધ્યેય પર્યાવરણના નિયમને મદદરૂપ થવાનું છે. આ નિયમોની યોગ્ય રૂપમાં દસ્તાવેજોની ગોઠવણી, નોંધણી અને જાળવણી કરવાથી તેમ જ સમયાંતરે સંસ્થાનો પર્યાવરણીય અભિગમ કેવો છે તેનું વિશ્લેષણ કરવાનો છે. The confederation of Brithis Industry’ પર્યાવરણ ઓડિટની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “પર્યાવરણ ઓડિટનું કાર્ય જે-તે ઉદ્યોગ અથવા પેઢી પર્યાવરણ માટે લાભદાયક છે કે નહિ અથવા તે કેટલાં અંશે લાભદાયક છે અને કેટલે અંશે નુકશાનકારક છે તે જોવાનું છે. તેનું એક કાર્ય એ પણ છે કે જે-તે ઉદ્યોગ કે પેઢી દ્વારા જે ઉત્પાદન થાય છે તેમાં પર્યાવરણીય સમતુલા જોખમાય છે કે કેમ, પર્યાવરણીય ઓડિટની કાર્યયાદીમાં સંબંધિત ઉદ્યોગ કે પેઢીએ પર્યાવરણીય કાયદાની મર્યાદામાં રહીને ઉત્પાદનનું કાર્ય કરવાનું હોય છે.” પર્યાવરણ ઓડિટની સૌ પ્રથમ શરૂઆત યુ.એસ.એ.માં ઈ.સ. ૧૯૭૦માં થઈ હતી જેનો હેતુ જુદા- જુદા ઔદ્યોગિક એકમો પર્યાવરણના નીતિ-નિયમોનું કેટલા અંશે પાલન કરે છે તેની તપાસ કરવાનો થતો. ભારતમાં સરકારે, “ધી એન્વાયર્નમેન્ટ (પ્રોટેક્શન) એક્ટ ૧૯૮૬”ની જોગવાઈ મુજબ “પર્યાવરણ ઓડિટ રિપોર્ટ” નક્કી કર્યો છે. જેને “પર્યાવરણનુ ંપત્રક” તરીકે ઓળખવામાં આવે છે. તે મુજબ પ્લાન્ટનો વિગતવાર અભ્યાસ કરવાનો છે અને પ્રત્યેક ઉદ્યોગે તે અંગેનો અહેવાલ “સ્ટેટ પોલ્યુશન બોર્ડ” ને પ્રતિવર્ષ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવાનો હોય છે. આ અહેવાલ પર ઓડિટરે નહિ, પરંતુ ધંધાકીય સાહસના સંચાલકોએ સહી કરવાની હોય છે.

પર્યાવરણ ઓડિટના ઉદ્દેશો
૧. પર્યાવરણના વહિવટી તંત્રને સમજવું તથા તેને અસર કરતી બાબતોનું વિશ્લેષણ કરવું.
૨. પર્યાવરણીય નિયમોના સંબંધિત પગલાં તપાસવાં.
૩. પર્યાવરણના નીતિ-નિયમોનું પાલન કરવું.
૪. પર્યાવરણીય કાર્યક્ષમતા સુધારવી.
૫. પર્યાવરણીય બાબતોનો બહોળો પ્રસાર કરવો.
૬. પર્યાવરણ સંદર્ભે અસરકારક ઉપાયોને લોકોમાં ફેલાવવા.
૭. પર્યાવરણના સંદર્ભમાં લાગુ પાડેલા કાયદા કાનૂન અંગે લોકોમાં સ્વીકૃતિ લાવવી.
૮. ગ્રીન મિશન તરફ વિકાસ કરવો.
૯. પ્રાપ્તિ અને નિકાલ ક્ષેત્રે માર્ગદર્શન અને મદદ પૂરાં પાડવાં.

પર્યાવરણ ઓડિટના લક્ષણો
૧. પર્યાવરણ ક્ષેત્રે લાગુ પાડેલા સામાન્ય કાયદા કાનૂનને જે-તે એકમે સ્વીકારવા તેમ જ વિશિષ્ટ એકરૂપતા એકરૂપાતની જવાબદારી પેઢીએ સ્વીકારવી.
૨. સામુદાયિક પર્યાવરણીય યોજના અને પ્રક્રિયા પર દેખરેખ રાખવી.
૩. “ગ્રીન મિશન” અંતર્ગત સામુદાયિક પર્યાવરણીય કાર્યક્રમોને વેગ આપવો અને તે માટે જરૂરી સુવિધા રચવી.
૪. સામુદાયિકત પર્યાવરણીય કાર્યક્રમોને અમલી બનાવવા તેજ સમયાંતરે તેની સમીક્ષા કરવી.
૫. પર્યાવરણીય નીતિ-નિયમોના પાલનની બાબતમાં અનિયમિત અને અવ્યવસ્થિત એકમોને પડકારવાં.
૬. જે-તે સાહસ કે પેઢી દ્વારા થતી પર્યાવરણીય અસરોને ધ્યાનમાં લઈ તેમને ઉત્પાદન અને પ્રક્રિયામાં સુધારા કે ફેરફાર લાવવાનાં સૂચનો કરવો.

પર્યાવરણ ઓડિટના વિભાગ
૧. ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને થતું ઓડિટ કાર્ય : જેમાં કંપનીની અંદર કોઈ એક જ બાબતનો અભ્યાસ થાય છે અને આવું ઓડિટ સામાન્ય રીતે કંપનીની બહારના નિષ્ણાતો દ્વારા થાય છે.
૨. બહુહેતુક ઓડિટ કાર્ય : જેમાં કંપનીના ઉત્પાદનને ધ્યાનમાં રાખી કંપનીના તેમ જ કંપની બહારના નિષ્ણાતો દ્વારા ઉત્પાદન, ખર્ચ અને નુકશાન વિશે ઓડિટ થાય છે.

પર્યાવરણ ઓડિટનું સ્વરૂપ
૧. પર્યાવરણ જોખમોને લગતાં ઓડિટ.
૨. ઔદ્યોગિક સાહસની સ્થાપનાથી ઉભી થતી નિર્વાસિતોની સમસ્યાને લગતાં ઓડિટ.
૩. કંપની અને તેનાં કાર્યને લગતાં ઓડિટ.
૪. બિનજરૂરી માલસામાન તેમ જ રી-સાયકલિંગ ન થઈ શકે તેવાં ઔદ્યોગિક કચરા નિકાલ અંગેના ઓડિટ.
૫. પર્યાવરણના નીતિનિયમો અને ધારા ધોરણની જાળવણીને લગતાં ઓડિટ.
૬. ઔદ્યોગિક એકમ દ્વારા થતા જુદા જુદા સ્તોત્રોના નુકશાન કે પ્રદૂષણને લગતાં ઓડિટ.

પર્યાવરણ ઓડિટની પ્રક્રિયા
પર્યાવરણ ઓડિટની પ્રક્રિયા વિશાળ છે. તેમાં વારંવારનો અભ્યાસ, જે-તે સમસ્યાનું સ્વરૂપ, માહિતી એકત્રીકરણ, સંબંધિત વર્ગોની તપાસ, નિર્ણય કે નિષ્કર્ષ તેમ જ સૂચનો જેવી જટિલ પ્રક્રિયા હાથ ધરાય છે.
૧. સૌપ્રથમ પરિસ્થિતિનો અભ્યાસ ચોક્કસ ધ્યેયને ધ્યાનમાં રાખી કરવામાં આવે છે. જેમાં પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન હોય છે.
૨. ઓડિટમાં સમાવવા યોગ્ય બાબતોની ચકાસણી, તારવણી અને પસંદગી કરવી.
૩. વિવિધ વિકલ્પોની ચકાસણી કરવી જેમાં પ્રત્યેક વિકલ્પ અંગે નિર્ણય કરતાં પહેલાં તેની અસરોને જે-તે પરિસ્થિતિ અને સમયના સંદર્ભમાં ચકાસવી.
૪. વિવિધ વિકલ્પોમાંથી પસંદ કરેલા વિકલ્પનું મહત્ત્વ તપાસવું. તેનો હકારાત્મક અભ્યાસ કરવો.
૫. છેલ્લે પસંદ કરેલા વિકલ્પનું કાર્યક્ષેત્ર, હેતુઓ સ્પષ્ટ કરવા તેમજ તેના સંદર્ભમાં સમસ્યા અને પ્રશ્નોની છણાવટ કરવી.
૬. જરૂરી પુરાવા કે દસ્તાવેજો દ્વારા નિયત સમય મર્યાદામાં ઓડિટ કાર્ય પુરું કરવું.

પર્યાવરણીય ઓડિટને સફળ કઈ રીતે બનાવી શકાય.
પર્યાવરણ ઓડિટ કરવું એ આસાન કામ નથી. તે માટે ઓડિટર પાસે ટેકનિકલ લાયકાત, પર્યાવરણના કાનૂનોની જાણકારી તથા પર્યાવરણના પરિબળોની કંપનીની નાણાંકીય કામગીરી પર શું અસર થાય છે તેની જાણકારી હોવી જરૂરી છે. પર્યાવરણ ઓડિટની સફળતા માટે આવા નિષ્ણાત ઓડિટરોના મોટા સમૂહની જરૂર પડે છે. સાથે-સાથે જે તે સાહસ કે પેઢીના સત્તાધીશો તરફતી પણ પ્રોત્સાહન આવકાર્ય છે. ઓડિટ કાર્યમાં સમયસૂચકતા ખૂબ જ જરૂરી છે. જો કે, “ઉતાવળે આંબા ન પાકે” એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈ જોઈએ. પ્રત્યેકત નાની-નાની બાબતો તરફ લક્ષ્ય રાખવું અને હકારાત્મક વલણ દર્શાવવું. કંપનીના સત્તાધીશો કે અધિકારીઓ સાથે કામ લેતી વખતે પર્યાવરણની જાળવણી એ ધ્યેય જળવાવવો જોઈએ. ઉપરાંત, પર્યાવરણની જાળવણીનો ખ્યાલ સાર્વત્રિક બને એ માટે ચાલુ ઓડિટ કાર્યમાં જ પર્યાવરણની જાળવણીથી થતા લાભ પ્રત્યે લોકોને આકર્ષવા કે ધ્યાન દોરવું. જો કે આની સાથે પોતાના કાર્યક્ષેત્રને વળગી રહેવું તેમ જ અન્ય તરફતી મળતાં સૂચનોને પણ ધ્યાન પર લેવાં.

ટૂંકમાં, પર્યાવરણ ઓડિટ એ જે- તે સાહસ કે કંપની જે વિસ્તારમાં કામ કરે છે ત્યાં કેમિકલયુક્ત ગંદું પાણી છોડે નહિ, હવામાં ઝેરી ધુમાડા છોડી હવામાં પ્રદૂષણ ફેલાવે નહિ, યંત્રો દ્વારા અવાજનું પ્રદૂષણ ફેલાવે નહિ - વગેરે બાબતોનો અભ્યાસ કરતો વિકાસશીલ કાર્યક્રમ છે. તે પર્યાવરણની વર્તમાન પરિસ્થિતિનું ભવિષ્યના સંદર્ભમાં મૂલ્યાંકન કરે છે અને જુદી-જુદી સમસ્યા વિશેનો અભ્યાસ કરીને વિવિધ દિશા- સૂચનો કરે છે.

પ્રા. અલ્કાબેન પ્રજાપતી
લેખિકા સરકારી કોમર્સ કોલેજ, વડાલીમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક સહાયક છે.
સંકલનઃ કંચન કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading