પર્યાવરણના ભોગે વિજ્ઞાનની (પ્ર)ગતિ

કવિશ્રી ઉમાશંકર જોષીએ પર્યાવરણ વિશે સુંદર પંકિતની રચના કરી છેે: 'વિશાળતાએ વિસ્તરતો નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનસ્પતિઓ છે...'

આપણી આ સંદર વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે જેને શાસ્ત્રોમાં પંચમહાભૂતો કહેવાયા છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, વિવિધ સ્વરૂપે ખનિજો અને પંચ આવરણનું એક સ્વરૂપ એટલે પર્યાવરણ. વસુંધરાના જેટલા વિસ્તારોમાં સજીવો વસવાટ કરી રહ્યા છે એ જૈવમંડળમાં આશરે ૩,૫૦,૦૦૦ જાતિઓ અને ૧૦,૭૫,૮૪૦ પ્રાણીઓની જાતિઓ વસે છે. પર્યાવરણ એટલે માનવની આસપાસની સજીવ-નિર્જીવ સૃષ્ટિ! સમગ્ર સૃષ્ટિમાં માનવ, જીવજંતુઓ, પ્રાણીઓ, પંખીઓ અને વનસ્પતિઓ નભે, વિહરે અને સૌ કોઇ પોત પોતાની રીતે પોતાનું જીવન સરળતાથી ચલાવી શકે એવી કુદરતી વ્યવસ્થા હતી!....કદાચ હજુ પણ છે...પરંતુ માનવ નામના સામાજિક પ્રાણીએ વસુંધરા ઉપરની બધી જ કુદરતી સંપત્તિને પોતાની માની તેનો વિજ્ઞાન અને ટેકનોલોજિના સંદર્ભમાં ઉપયોગ કરી ઘણું બધું પોતાના જીવન માટે મેળવ્યું...અને સાથે-સાથે કુદરતી પર્યાવરણને વિનાશની સમીપે પહોચાડી દીધુ છે.

વિજ્ઞાન એ પ્રયોગો દ્વારા પૂરવાર થયેલું જ્ઞાન છે અને ટેકનોલોજિ એ જ્ઞાનનનો ઉપયોગ કરે છે. વિજ્ઞાન એક અસીમ શકિત છે. વિજ્ઞાન અનેક અજાણ્યા, રહસ્યમયી પ્રદેશોના દ્વાર ખોલવા માટેની ચમત્કારિક ચાવી છે. એ ચાવીથી ખોલવામાં આવેલો દરવાજો સ્વર્ગનો પણ હોય અથવા નર્કનો પણ હોય! વિજ્ઞાન આધારિત ટેકનોલોજિની શોધ જો કોઇ સારા વ્યકિતઓના હાથમાં હોય ત્યાં સુધી કોઇ પરવા નથી પણ એ શોધ જો કોઇ દુષ્ટ વ્યકિતના હાથમાં આવી જાય તો વિનાશના એંધાણ સ્પષ્ટ જોવા મળતા હોય છે. અગાઉના વર્ષોમાં ખેતી કુદરત આધારિત હતી. આજે ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને જિનેટીકલી મોડીફાઇડ બિયારણોને કારણે ખેતી સમૃદ્ઘ બની છે પણ સાથે-સાથે જમીન, પાણી, હવામાન અને માનવોના સ્વાસ્થ્ય પ્રદૂષિત થયા છે. વસુંધરા ઉપર સ્થાપવામાં આવેલા વિવિધ પાવર સ્ટેશનો, અણુ રિએકટરો, વિવિધ પ્રકારના બોમ્બના અખતરાઓ અને વિકાસના નામે બીજી અનેકવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓને કારણે વસુંધરાનું સ્વાસ્થ્ય પણ પ્રદૂષિત થઇ રહ્યું છે. અવકાશમાં ફેકવામાં આવતાં ઉપગ્રહો, તેમના લોન્ચરના કાટમાળ, મિસાઇલ્સ ટેકનોલોજિ જેવી વિકાસની કામગીરીને કારણે સ્વર્ગસમાન વસુંધરા નર્કાગારમાં ફેરવાઇ રહી છે.

વસુંધરાની ઉત્પતિ બાદ વિજ્ઞાનનાં સદર્ભમાં એમ કહી શકાય કે, વિજ્ઞાને પ્રગતિ કરી નથી પરંતુ ફકત ગતિ કરી છે. માનવના સંદર્ભમાં પણ આ વાકય સોળે આના સાચું સાબિત થઇ શકે! વિજ્ઞાન કે માનવની આ કહેવાતી ગતિને કારણે વિશ્વમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય બાબતે સમસ્યો ઊભી થઇ છે. વિજ્ઞાનની વિવિધ શોધો દ્વારા પ્રકૃતિનો ખોં નીકળી ગયો છે. વિજ્ઞાનના આંધળા અનુકરણને કારણે આપણે આપણી ભવ્ય સંસ્કૃતિને હાંસિયામાં મુકતા થઇ ગયા છીએ. અગાઉ કદી નામ પણ સાંભળ્યા ન હોય તેવા અનેક રોગો આજે મહામારી રૂપે પ્રચલિત થયા છે, જેના કારણે મૃત્યુની સંભાવના આશરે ૮૦% જેટલી હોય છે. વિજ્ઞાનની ટેકણ લાકડી દ્વારા માનવે કરેલી ગતિને કારણે જે લાભ થયા છે તેના કરતાં બમણું નુકશાન થયું છે એવું કહેવામાં જરાય અતિશયોકિત નથી! ઇ.સ. ૧૯૪૫ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા નામના ખંધા રાષ્ટ્રએ જપાનના હિરોશીમા અના નાગાસાકી શહેરો ઉપર અણુ બોમ્બનો 'અખતરો' કરીને માનવતાને મારી નાખી હતી. હવે આજે અમેરિકા અને તેના 'જાતભાઇ' જેવા રાષ્ટ્રો પાસે અણુ બોમ્બ કરતાં પણ વધુ શકિતશાળી હોઇડ્રોજન બોમ્બ છે. ઇ.સ. ૧૯૨૮ માં કલોરોફોસ નામના વૈજ્ઞાનિકે પ્રકૃતિમાંથી કાર્બનને ઓળખી બતાવ્યો. આજે ઘર વપરાશની વિવિધ ચીજ-વસ્તુઓમાં કાર્બનના સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘર વપરાશની ચીજ-વસ્તુઓના વપરાશ દરમ્યાન ઉત્સર્ગ પામતાં બીન-ઉપયોગી ઝેરી વાયુઓ પર્યાવરણના ચોકીદાર સમાન ઓઝોનના સ્તરને ભરખી જાય છે.

પ્રદૂષણ એ પ્રકૃતિને માનવ દ્વારા મળેલું દૂષણ છે. આપણે બધા જાણીએ છીએ કે, વૃક્ષો માનવજાતને ઓકિસજન આપે છે, આમ છતાં પણ માનવ વૃક્ષોનું નિકંદન કાઢવાના 'મિશન' ઉપર એકાગ્રતાથી કાર્ય કરી રહ્યો છે. આજે માનવ કોઇપણ વૃક્ષ તેને નડતું પણ ન હોય તેમ છતાંય તેના ઉપર ઘા કરતાં અચકાતો નથી. પર્યાવરણમાં રહીને નિરાંતે શ્વાસ લેતો માનવ આવી ઘણી બાબતોને આરામથી નજરઅંદાજ કરી રહ્યો છે. 'પર્યાવરણવાદીઓ'ના એક અહેવાલ પ્રમાણે આજે જે ઝડપે પ્રદૂષણ વધી રહ્યું છે, અને આ જ ઝડપે પ્રદૂષણ વધતું રહ્યું તો ઇ.સ. ૨૦૨૫ સુધીમાં વસુંધરાને નવું નામ આપવું પડશે અને એ નામ કદાચ 'વૈશ્વિક કબ્રસ્તાન' હશે! ભવિષ્યમાં આવા પ્રકારની સ્થિતિનો સામનો ન કરવો પડે એ માટે પર્યાવરણની જાળવણી કરવી જરૂરી છે. આ વાત બધા સમજે પણ પ્રથમ કદમ ઉપાડે કોણ? પર્યાવરણની જાળવણી કરવાની પણોજણમાં રખેને મારી પ્રગતિ અટકી જશે તો.....? સૌ કોઇ મુંઝવણમાં છે અને આવી મુંઝવણ સમયે કયારેક કેટલીક 'વિશ્વવિભૂતિ'ઓ આપણને ન સમજાય તેવી વાત કરી નાખે છે. ગ્લોબલ વોર્મિંગનો જ દાખલો લ્યો તો, વિશ્વવિભૂતિઓ એમ કહે છે કે, એ તો કુદરતી પ્રક્રિયા છે એ વિશે કશું કરવાની જરૂર નથી. આવું કહેનારી વિશ્વવિભૂતિઓને એટલું જ કહેવું જોઇએ કે, મહારાજ આપ બિમારીનો ભોગ બનો છો એ કુદરતી પ્રક્રિયા છે એના વિશે કશું કરવાની જરૂર નથી. આજે આપણી વસુંધરા બિમારી પડી ગઇ છે. વસુંધરાને ગ્લોબલ વોર્મિંગ જેવા સૂક્ષ્મ નહી પણ વિશાળ કિટાણુંનો ચેપ લાગેલો છે. બીજું કંઇ નહી પણ વસુંધરાને લાગેલો આ ચેપ દૂર કરવાની જરૂર છે.

જેમ ધૂળવાળું રાષ્ટ્ર રેગિસ્તાન કહેવાય તેમ સંસ્કાર વગરનું ઘર સ્મશાન કહેવાય. માતા પોતાના બાળકને બાલ્યાવસ્થાથી સાચવીને જેમ પુખ્તવયનો થાય તો પણ તેની સંભાળ લેવાનું છોડતી નથી તેમ માનવે પણ પોતાની માતા વસુંધરાની સાર-સંભાળ પોતાના જીવનના અંત સુધી લેવી જોઇએ.!

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading