સામુદ્રિક પ્રદૂષણ : પર્યાવરણનું અવરોધક પરિબળ

પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે સૌ પ્રથમ પૃથ્વી ૨પર સજીવસૃષ્ટિની શરૂઆત પાણીમાંથી થઈ હતી. આ સજીવસૃષ્ટિને કરોડો વર્ષો સુધી શુદ્ધ પર્યાવરણ પ્રાપ્ત થયું છે. પર્યાવરણના મુખ્ય ઘટકો હવા, પાણી અને ખોરાક છે. આ મુખ્ય ઘટકો છેલ્લા બે સદીથી માનવીની વિવિધ પ્રવૃત્તિઓના કારણે દૂષિત થઈ રહ્યા છે. વિશ્વ સ્તરે પર્યાવરણ-પ્રદૂષણની વૃત્તિઓ એટલી હદે વધી ગઈ છે કે તે પોતાની સગવડો માટે પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગ દ્વારા પર્યાવરણને દૂષિત બનાવે છે. વિશ્વના વિકસિત રાષ્ટ્રોની વસતી લગભગ ૨૦ ટકા છે. આ વસતી કુદરતી ભંડારોમાંથી ૮૦ ટકા જેટલો હિસ્સો વાપરે છે. જેમ જેમ વસતી વધતી ગઈ તેમ તેમ માનવીની સુવિધા માટેની જરૂરિયાતો પણ વધતી ગઈ છે. આ સુવિધાઓ પરિપૂર્ણ કરવા માટે પર્યાવરણમાંથી પ્રાપ્ત પ્રાકૃતિક સંસાધનોનો માનવી વધુ ન વધુ ઉપયોગ કરવા લાગ્યો છે. પરિણામે પર્યાવરણનો વિકાસ રુંધાય છે, પર્યાવરણ દૂષિત થાય છે. પરંતુ આ સંસાધનોનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણનું જતન, સંરક્ષણ અને વિકાસ થઈ શકે. સમુદ્રનું પાણી એક કુદરતી અખૂટ સંપત્તિ છે.

પૃથ્વીના કુલ વિસ્તારમાં લગભગ ૭૫ ટકા ભાગ પાણીથી રોકાયેલો છે. જમીન ઉપરની જીવસૃષ્ટિ કરતાં અનેકગણી વધુ જીવસૃષ્ટિ સમુદ્રમાં વસે છે. સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી જીવસૃષ્ટિ વિવિધતા ધરાવે છે તેમ જ આ જીવસૃષ્ટિ આગવું પર્યાવરણ ધરાવે છે. આ વિવિધતાઓને કારણે દરિયાઈ જીવસૃષ્ટિ માટે અનેક પેદાશો મળે છે. દરિયામાં માછીમારીના કારણે મત્સ્ય ઉદ્યોગ અને વહાણવટુ ઉદ્યોગ વિકસ્યો છે. માછલીઓની વૃદ્ધિ અને વિકાસ પર્યાવરણ પર આધારિત છે. દરિયાઈ જીવોને પણ જીવવા માટે અનુકૂળ પર્યાવરણ જળવાય તે જરૂરી છે. એ જ રીતે સમુદ્ર કિનારાની વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના જીવન ઉપર સમુદ્રના પાણીનું ઘણું મહત્વ છે આથી સમુદ્રના પાણીનું કુદરતી બંધારણ જળવાઈ રહે તે જરૂરી છે. ભારતના પર્યાવરણમાં જંગલો, મેદાનો, પર્વતો વગેરેનો સમાવેશ થાય છે. તેમ સમુદ્ર પણ સૌથી મોટું પર્યાવરણ ઘટક છે. ભારતનો દરિયા કિનારો આશરે ૧૨૪૦૦૦ કિ.મી. લાંબો છે. જ્યારે ગુજરાતનો દરિયા કિનારો આશરે ૧૬૬૦ કિ.મી. લાંબો ધરાવે છે. અને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ૯૦૦ કિ.મી. લંબાઈ ધરાવે છે. ભારતમાં મોટા ઉદ્યોગોના સંદર્ભે બે બાબતોનો અભાવ વર્તાય છે. (૧) પાણી અને (૨) ઊર્જા. આ બંને સ્ત્રોતની અછતના કારણે જરૂરી એવો ઔદ્યોગિક અને માનવ વિકાસ શક્ય બન્યો નથી. ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારો બાદ કરતાં પાણીની કાયમી અછત રહે તેવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિને કારણે ઔદ્યોગિક વિકાસ માટે દરિયાકાંઠાનો વધુને વધુ ઉપયોગ થવા લાગ્યો છે. ઈ.સ. ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ સરકારે ટેક્સ હોલિડે યોજના જાહેર કરતાં કચ્છમાં મોટા પાયે ઔદ્યોગિક એકમોની સ્થાપના થઈ છે. કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રામાં પાવર પ્લાન્ટો સ્થપાતાં કેમિકલયુક્ત પાણી તથા પ્લાન્ટોને ઠંડા રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં પાણીને પરત સમુદ્રમાં ઠાલવવામાં આવતાં પાણીને પરત સમુદ્રમાં ઠાલવવામાં આવતાં દરિયાઈ જીવો તથા વનસ્પતિઓને મોટા પાયે નુકશાન થઈ રહ્યું છે.

એવી જ રીતે ભાવનગરના દરિયાકાંઠાના નજીક ભાલ વિસ્તારના દરિયા કિનારે નિરમા કેમિકલ ઉદ્યોગ વિકસી રહ્યો છે, તેમ જ જામનગરમાં રિલાયન્સ કંપનીના ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ઓખા નજીક મીઠાપુર ખાતે વર્ષોથી મીઠા અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરતો ઉદ્યોગ સ્થપાયેલ છે. ભારતના અન્ય મોટા શહેરો જે દરિયા કિનારે છે ત્યાં પણ મોટા ઉદ્યોગો કિનારા પર વિકસ્યા છે. આ ઉપરાંત કંડલા અને મુન્દ્રા જેવાં બંદરો પરથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે તેના કારણે પણ સમુદ્રમાં પ્રદૂષણ ફેલાય છે.

સમુદ્ર કિનારે જેમ જેમ ઉદ્યોગો વધુને વધુ સંખ્યામાં સ્થપાતા જાય તેમ તેમ વસ્તી પણ વધતી જાય છે. યુનેસ્કોના અહેવાલ મુજબ ઈ.સ. ૨૦૨૫ સુધીમાં સમગ્ર વિશ્વની ૫૦ ટકા વસ્તી દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતી હશે. દરિયા કિનારે સ્થપાયેલ વિવિધ ઉત્પાદન કરતા મોટા ઉદ્યોગો ઉત્પાદનની સાથે સાથે ઔદ્યોગિક કચરો પણ પેદા કરે છે.

કચરો ફક્ત ઉદ્યોગો દ્વારા જ પેદા થાય છે તેવું નથી, ઘરવપરાશ અને ઔદ્યોગિક વપરાશના કચરામાં બધા જ પ્રદૂષણો હોય છે. આ પ્રદૂષણો ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે. ઘન અને પ્રવાહી કચરો સમુદ્રમાં ઉભી થઈ છે, એટલું જ નહી ંપણ જ્યાં જ્યાં મોટી નદીઓના કિનારો ઉદ્યોગો સ્થપાયા છે તેમના દ્વારા ઉત્પન્ન થતાં દૂષિત દ્રવ્યો નદીમાં ઠાલવવામાં આવે છે અને ત્યાંથી સમુદ્રના પાણીમાં ઠલવાય છે. તેથી સમુદ્રની નિવસન તંત્ર અસંતુલિત બને છે.

દર વર્ષે આશરે ૧૨૦૦૦ ટન લેડ, ૧૭૦૦૦ ટેલ કોપર, ૭૦૦૦૦ ટન ઝીંક, આર્સેનિકના ૮૦૦૦ આયનો, ૯૦૦ ટન બેરિયસ, ૭૦૦૦ ટન મેગેનિક, ૬૦૦૦ ટન ફોમિયમ, ૩૮૦૦ ટન એન્ટીમની, ૧૭૦૦૦ ટન લોખંડના ક્ષારો, ૭૦૦૦ ટન મર્કયુરી, ૪૬૦૦ ટન ટીન વગેરે સમુદ્રમાં કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ કે મંદતા વગર છોડવામાં આવે છે. ફક્ત અમેરિકા દેશ જ દર વર્ષે ૭ ટ ૧૦૬ ટન મોટર વપરાશના દૂષિત દ્રવ્યો અને ૨૦ ટ ૧૦૬ ટન પેપર તથા કરોડોની સંખ્યામાં શીશી અને બરણી સમુદ્રમાં ઠાલવે છે. આ કચરામાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક જ હોય છે.

સામુદ્રિક પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોત
૧. ઉદ્યોગ: ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થયેલ રસાયણ કચરો મોટા પ્રમાણમાં ટોક્સિક મેટલ્સ, ઓઈલ સસ્પેન્ડક, ઓઈલ્સ, સોલિટ્સ ફીનોઈલ વગેરે ધરાવે છે. આવા રસાયણિક પદાર્થો વધારે પ્રમાણમાં બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ તેમ જ ઓછા પ્રમાણમાં ડિઝોલ્વ ઓક્સિજન ધરો છે. આ કચરો જ્યારે દરિયામાં ઠાલવવામાં આવે છે ત્યારે તે પાણીના બંધારણને બગાડે છે. આથી તે વિસ્તારમાં વસતા પ્રાણીઓના જીવન માટે ખતરો ઉભો થાય છે.
૨. ઓઈલ ટેન્કર્સ: આંતરરાષ્ટ્રીય આયાત-નિકાસ મોટા પાયા પર સમુદ્રના માર્ગે કરવામાં આવે છે. સમુદ્રમાં ફરતા ઓઈલ ટેન્કર્સ દ્વારા મોટું પ્રદૂષણ સર્જાય છે. હજારો ટન ઓઈલ ટેન્કરમાંથી લીકેજ થાય છે અને સમુદ્રના પાણીમાં ભળે છે. ઉપરાંત દરિયાઈ અકસ્માતના કારણે ઓઈલ લઈ જતાં જહાજોમાં આગ લાગે છે કે પછી સમુદ્રમાં ડૂબી જાય છે. પરિણામે ટેન્કરોમાંથી ઓઈલ સમુદ્રની સપાટી પર પથરાઈ સમુદ્રની સપાટીને અપારદર્શક બનાવી મોટું નુકશાન પહોંચાડે છે. જેને તેલની ધારીનું પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સમુદ્રની પ્રદૂષણ ગ્રહણ કરવાની ક્ષમતા અનેક ગણી છે. પરંતુ ઈ.સ. ૧૯૬૭માં લાઈબેરીયાના તેલવાહક જહાજ ડૂબવાથી ખબર પડી કે ૮૫૦૦૦૦ બેરલ તેલ સમુદ્રના પ્રદૂષણ માટે જવાબદાર હતુ. આ તેલ પ્રદૂષણથી સમુદ્રની જીવસૃષ્ટિ તથા પક્ષીઓને વિપરીત અસર થઈ અને દરિયા કિનારાનું સૌંદર્ય નષ્ટપ્રાય થઈ ગયું. આ ઉપરાંત સમુદ્રના કાંઠા વિસ્તારો અને સમુદ્રમાંથી ઓઈલ મેળવવા માટે ડ્રિલિંગ દરમ્યાન નીકળતું તેલ પણ પ્રદૂષણ ફેલાવ છે.
૩. જંતુનાશક દવાઓ: ખેતીવાડીમાં કે અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાતા પેસ્ટિસાઈડ્સ (જંતુનાશક દવાઓ) અને રાસાયણિક ખાતરોના તત્વો વરસાદના પાણી સાથે તણાઈને દરિયામાં ભળે છે. જંતુનાશક દવાઓમાં ક્લોરીનેટેડ હાઈડ્રોકાર્બન્સ જેવા રસાયણો સમુદ્રમાં એકત્રિત થઈ દરિયાઈ જીવસૃષ્ટિને હાનિકારક બનાવે છે.
૪. કિરણોત્સર્ગી અશુદ્ધિઓ(રેડિયો એક્ટિવ વેસ્ટ) સમુદ્ર કિનારે સ્થપાયેલા ન્યુકિલયર પ્લાન્ટમાંથી નીકળતા કચરાને જ્યારે સમુદ્રમાં ઠાલવવામાં આવે છે તેમજ સમુદ્રમાં કરવામાં આવતા અણુ ધડાકાને કારણે સમુદ્રમાં કિરણોત્સર્ગી પ્રદૂષણ ફેલાય છે અને સામુદ્રિક પર્યાવરણને હાનિ પહોંચાડે છે. જેથી મોટા પાયે દરિયાઈ નિવસનતંગ નાશ પામે છે.

વિવિધ પ્રદૂષકોની સમુદ્રની જીવસૃષ્ટિ પર થતી અસરો
૧. વિષકારકો સાથેનો ઔદ્યોગિક કચરો જેવો કે એસિડ, આલ્કલી, પેસ્ટિસાઈડ, ઓઈલ, વાર્નિસ, પ્લાસ્ટિક્સ, પેટ્રોકેમિકલ્સ, રબર, કલર, નકામાં કાગળો, સાબુ, ડિટર્જન્ટસ, માઈન ડ્રેનેજ, ટેનેરી, સાયનાઈડ્સ અને રેડિયો એક્ટિવ પદાર્થો વિવિધ દેશોના દરિયાકાંઠાના વિસ્તારની માછલીઓના મૃત્યુ માટે જવાબદાર બને છે.
૨. કલર-ડાઈઝ (રંગ-રસાયણો) અને બીજા અન્ય રસાયણો કેટલાક સ્થળોએ સમુદ્રના નૈસર્ગિક બંધારણ અને તેની પારદર્શકતા પર અસર કરે છે.
૩. ઈ.સ. ૧૯૮૫માં બોમ્બેમાં હાજી-પોર્ટ ખાતે ઔદ્યોગિક નિકાલ કે જે સાઈનાઈડ, આયર્ન અને મરક્યુરી ધરાવતો હતો તેને કારણે આશરે ૮૦૦૦૦ માછલીઓ મરી ગઈ હતી. એ જ રીતે તાજેતરમાં ઓઈલ ટેન્કરમાં અકસ્માતના કારણે મુંબઈના સમુદ્ર કિનારે પ્રદૂષણ ફેલાયું હતું.
૪. ઈ.સ. ૧૯૭૮માં જાપાનમાં મરક્યુરી પ્રદૂષિત થયેલ માછલીઓને લીધે આશરે ૨૦૦૦૦ લોકો બીમાર પડ્યા અને તેમાંથી મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા હતાં. આ રોગને “Minamata”નામ જાપનના તે શહેરના નામ પરથી આપવામાં આવ્યુ હતું. આવા જ Metallikc Poisoning ને લીધે છતા રોગ ફ્રાંસ, બેલ્ડિયમ, ઈંગ્લેન્ડ, હોલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને સિલોનમાં નોંધાયા હતા. મરક્યુરી કમ્પાઉન્ડ ખૂબ જ ઝેરી છે જે જલીય પર્યાવરણમાં મિથાઈલ મરક્યુરીમાં ફેરવાય છે. ત્યારે માછલીના કોષોમાં જમા થાય છે અને આવી માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરવાથી માનવ શરીરમાં આવે છે અને ઘાતક પુરવાર થાય છે.
૫. ઓઈલ ટેન્કરમાંથી ઢોળાતા ઓઈલથી સમુદ્રની સપાટી પર એક સ્તર રચાય છે પરિણામે સમુદ્ર કિનારાના પ્રદેશમાં લાઈકેન અને લીલ નાશ પામે છે.
૬. ઓઈલનું સ્તર સમુદ્રમાં પાણીમાં ઓક્સિજનને ઓગળતો અટકાવે છે જેને લીધે ચપળતા દર્શાવતા સમુદ્રી પ્રાણીઓ નાશ પામે છે. ઈ.સ. ૧૯૬૭માં બનેલી ઘટનામાં ક્રુડ ઓઈલ સમુદ્રની સપાટી પર લગભગ ૧૬૦ કિ.મી. બ્રિટિશ દરિયાકિનારાના અને ૮૦ કિ.મી. ફ્રાંસના દરિયા કિનારે ફેલાયું પરિણામે ઓક્સિજનના અભાવે ૨૫૦૦૦ પક્ષીઓ અને લાખો ટન દરિયાઈ જીવો નાશ પામ્યા, જેનું નુકસાન તે સમયે ૩૦ મિલીયન ડોલર) જેટલું હતું.
૭. તેલના કારણે સમુદ્રની સપાટી પર કડદાનું આવરણ થવાથી ૮૦% થી ૯૦% અથવા સપાટીથી ૨ મીટર નીચે સૂર્ય પ્રકાશ જઈ શકતો નથી. પરિણમે દરિયાઈ જીવો, લીલ વગેરેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી જાય છે.
૮. સી-લાયન, સી-ઓટર્સ અને મસ્ક રેટ જેવા રુંવાટી ધરાવતા દરિયાઈ પ્રાણીઓના શરીર પર ઓઈલ ચોંટવાથી ફટની પ્રક્રિયા અવરોધાય છે. તથા નાના પ્રાણીઓના શરીર પર ઓઈલ ચોંટવાથી નાશ પામે છે.
૯. દરિયા કિનારાના કાદવમાં રહેનારા પ્રાણીઓ ઓઈલના લીધે નાશ પામે છે.
૧૦. ઉષ્મ કટિબંધના દેશોના દરિયાની સપાટી ઉપર તેલને લીધે ઉષ્ણતામાનમાં વધારો થવાથી પ્લેન્કટોન અને બીજા સપાટી બીજા સપાટી ઉપર તરતા જીવો નાશ પામે છે.
૧૧. તેલનો કડદો સાલમોન અને ઈલ જેવી માછલીઓનું સ્થાનાંતર અટકાવી દે છે.
૧૨. છીછરા સમુદ્રના કાદવમાં મેન્ગ્રુવ (તીવાર) જેવી વનસ્પતિઓ દરિયાઈ પ્રાણીઓના આશ્રયસ્થાન છે તેમ જ દરિયાને આગળ વધતો અટકાવે છે. આ વનસ્પતિમાં શ્વસનમૂલ પાણીની સપાટી ઉપર હોય છે જે તેમને જીવંત રાખવા માટે જરૂરી છે, પરંતુ તેલનો કડદો આ શ્વસનમૂળ ઉપર ચોંટી જવાથી આવી વનસ્પતિ નાશ પામે છે. પરિણામે દરિયાઈ જીવો આશ્રય ગુમો છે અને તેમનો પણ નાશ થાય છે.
૧૩. કાળા સમુદ્રને યુરોપની ગટરનો ખિતાબ આપવામાં આવ્યો છે. ડાન્યુલ નદી યુરોપના છ દેશોમાંથી પસાર થઈ કાળા સમુદ્રને મળે છે. આ નદી પોતાની સાથે આ છ દેશોની ગંદકી પણ કાળા સમુદ્રમાં ઠાલવે છે. પરિણામે આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, કાળા સમુદ્રમાં વિહાર કરતી ડોલ્ફિન ઘટી છે.
૧૪. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખાદ્ય અને ખેતીવાડી વિભાગે મોહર કરેલા આંકડા મુજબ પૂરી દુનિયામાં ખવાતી સૌથી વધુ માછલીની ૨૦૦ પ્રજાતિઓમાંથી ૬૦%ની આબાદી સતત ઘટી રહી છે જ્યારે બીજી ૨૦૦ પ્રજાતિ લગભગ ખતમ થવાને આરે છે, જેમાં એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળતી સ્વાદિષ્ટ સ્વોર્ડફિશનો પણ સમાવેશ થાય છે. આથી આ પ્રજાતિઓને “રેડ લિસ્ટ”માં મૂકવી પડી છે.
૧૫. અલંગ બંદરે જહાજ ભાંગવાનો ઉદ્યોગ કાર્યરત છે. જેમાં વિવિધ દેશોમાંથી જહાજો આવે છે.આ જહાજોના કારણે સમુદ્રમાં પ્રદૂષણ ફેલાય છે. તેથી જ તાજેતરમાં દિલ્હીની પર્યાવરણવાદી સંસ્થા ટોક્સીક વોચ એલીયાન્સે “એકઝોન વેલ્ઝન” જહાજના વિરોધમાં વડાપ્રધાન તથા પર્યાવરણ મંત્રાલયને અરજી કરી છે.

સામુદ્રિક પ્રદૂષણનું નિયંત્રણ
૧. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફન્ડ ફોર નેચર (ઉઉહ્લ) સાથે મળીને સમુદ્ર અને તેની જીવસૃષ્ટિને બચાવવા માટે સમુદ્રનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો પ્રચાર તથા સંદેશો આપવો જોઈએ.
૨. ગટરોનું પાણી નદી કે સમુદ્રમાં ઠાલવવાને બદલે સુએઝ પદ્ધતિથી તેનો યોગ્ય નિકાલ અને પુનઃ ઉપયોગમાં લેવાની યોજના બનાવવી.
૩. મિલો તથા ઉદ્યોગોને કચરો દરિયામાં ઠાલવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તથા તેમણે વાપરેલા પાણીને શુદ્ધ કરવા ફરજ પાડવી જોઈએ.
૪. સમુદ્ર માર્ગે જહાજોમાં લઈ જવાતું તેલ સમુદ્રમાં ન ઢોળાય તેની તકેદારી રાખવી તથા તેલ ભરતી વખતે ઢોળાયેલું તેલ પાછું શોષી લેવાની વ્યવસ્થા તેલવાહકોએ કરવી જોઈએ અને તે માટે કાયદા બનાવવા.
૫. પરમાણુભટ્ટીઓ અને રાસાયણિક ઉદ્યોગોનો રાસાણિક કચરો દરિયામાં નાખવા સામે સખત પ્રતિબંધ મૂકવો.
૬. સમુદ્રમાં કરવામાં આવતા અણુ ધડાકા ઉપર કાયમી પ્રતિબંધ મુકવો.
૭. તીવાર જેવા વૃક્ષોનું શક્ય હોય ત્યાં કૃત્રિમ ખેતી ક્યારા ઉત્પાદન વધારવું.
૮. સહેલાણીઓ દ્વારા સમુદ્ર કિનારે પ્રદૂષણ ન ફેલાય તેનું ધ્યાન રાખવું તથા નાગરિકોમાં પર્યાવરણ સભાનતાની સમજ કેળવવી. આમ, સમજપૂર્વક અને વિવેકપૂર્વક સમુદ્રનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ પર્યાવરણનો વિકાસ કરી શકાય. કારણકે પર્યાવરણનો વિકાસ થશે તો જ માનવનો વિકાસ થશે.

પ્રા. ધ્રમેન્દ્ર વી. ભમાત
લેખક શ્રી એ.એમ.પટેલ મહિલા બી.એડ્. કોલેજ ઊંઝા ખાતે પ્રાધ્યાપક છે.
સંકલનઃ કંચન કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading