શહેરમાં સ્થાનિક વિવિધ સમિતિઓનું સંકલન થવું જરૂરી છે

અત્યં સ્તરના અભિગમ જેવા કે, જાહેર સુનવણી, ચર્ચાઓ, નેટવર્કિંગ અને ઓછી જાહેર ભાગીદારી સાથે પ્રદેશોમાં સંવાદ માટે તેમજ સામાજિક માળખામાં સહભાગીઓના મંચનો ઉપયોગ બખૂબી કરી શકાય છે.સહભાગીઓનું મંચ એટલે એક એવું ફોરમ કે, જયાં દરેક સહભાગી પોતાની ચિંતા, મુશ્કેલી અથવા તકલીફ અંગે સરળતાથી વાત કરી શકે છે. આ પ્રકારનું મંચ દરેક સ્તરે અસ્તિત્વમાં હોય છે. તમામ સ્તરના સહભાગીઓનું જોડાણ આવા મંચમાં હોવું અત્યંત આવશ્યક છે.

સહભાગીઓનું મંચ શાસન માળખાનું કાર્ય સરળ અને સુનિશ્ચિત કરવામાં પણ મદદરૂપ થાય છે. ખરેખર તો આ પ્રકારના મંચ છેક અંત્ય સ્તરના તકરાર અને સમસ્યાઓને ઓળખવામાં મદદરૂપ થાય છે. સમસ્યાઓ ઘણી વખત પાણી શાસનમાં શ્રેષ્ઠ પ્રયાસોના અમલીકરણમાં બાધારૂપ સાબિત થાય છે.

સહભાગીઓના મંચ આવી બાધાઓને દૂર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. સહભાગી અભિગમ દ્વારા જળ સંપત્તિ સંરક્ષણ પદ્ઘતિઓ વિશે જાહેર સામૂહિક જાગૃતિ લાવી શકાય છે. આ ઉપરાંત પાણી વપરાશ કરનારાઓની સામેલગીરીથી સત્તાધીશોની ફરજ અને તેમની નિર્યણ લેવાની શકિતમાં મદદરૂપ થઇ શકાય છે.

સહભાગીઓ માટે ભાગીદારી નિર્માણ માટે ક્રિયા અને પ્રતિક્રિયામાં વિવિધતા હોવી જરૂરી છે. આ વિવિધતા સમસ્યાઓના નિવારણની અમલીકરણની પ્રક્રિયામાં લઇ શકાય છે. સ્થાનિક સ્તર ઉપર નિર્માણ થયેલી સ્વૈચ્છિક ભાગીદારી, નગરપાલિકા અને અન્ય સ્થાનિક સત્તાધીશો વચ્ચે સંકલન સ્થાપવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. આ બાબતનું ઉદાહરણ ભુજ શહેરની જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી છે.

ભુજ શહેરમાં એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ સંસ્થા દ્વારા હમીરસર તળાવની સંકલિત વ્યવસ્થા તથા ભૂગર્ભ જળસ્રોતો બાબતે લોકોમાં લોકજાગૃતિ ફેલાવવાનું કાર્ય શરૂ કર્યુ હતું. આ માટે લોકો દ્વારા જ લોકો માટેની અને લોકો દ્વારા જ ચાલતી એક સમિતીની રચના કરવામાં આવી છે.

આ સમિતીનું નામ જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી રાખવામાં આવેલું છે. સમિતી શહેર વિસ્તારમાં પીવાના પાણીની બાબતે સ્વાવલંબન મેળવવાના હેતુથી અને સાથે વ્યવસ્થાપનમાં જનસમુદાયની ભાગીદારી આવે તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે.

આ ઉપરાંત આ સ્વૈચ્છિક રચાયેલી જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી ભુજ-કચ્છમાં આવેલા જળસ્રોતોના અનુસંધાનમાં સ્થાનિક સત્તાધીશો લોકો અને તંત્ર વચ્ચે સંકલન અને સમતુન જાળવવાનું કાર્ય કરે છે.

આ સમિતિ છેલ્લા છ વર્ષથી ભુજ શહેરમાં ભૂગર્ભસ્રોતો અને સપાટીય સ્રોતોના રક્ષણ, વિકાસ અને તેના વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ અંગે કાર્યરત છે. આ સમિતિ દ્વારા આખા ભુજ શહેર અને તેની આસપાસ પાંચ કિ.મી.ની ત્રીજીયામાં આવેલા વિસ્તાર(પેરી અર્બન)વિસ્તારમાં કાર્ય કરી રહી છે.

જયારે કાર્ય કરવાનો વિસ્તાર વ્યાપક હોય ત્યારે તંત્રના વિવિધ એકમો સાથે સંકલન કરવાની જવાબદારી સમિતિ ઉપર આવે છે. આ જવાબદારી કેવી રીતે નિભાવી શકાય ? આ ઉપરાંત શહેરના જ વિવિધ વિસ્તારોમાં પણ સ્થાનિક સમિતિઓ કાર્યરત હોય તો તેની સાથે સંકલન કેવી રીતે કરી શકાય ?

ઉપરોકત સવાલો બાબતે પહેલા આપણે તંત્રના વિવિધ એકમો સાથે કેવી રીતે સંકલન થવું જોઇએ એ અંગે વાત કરીએ. જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા ભુજ શહેરમાં અને તેની આસપાસ આવેલા ૪૩ તળાવોના નવિનીકરણની કામગીરી તંત્ર અને દાતાઓના સહયોગથી કરી રહી છે. આ તળાવોમાંથી કેટલાક તળાવો નગરપાલિકાની હદમાં છે તો કેટળાક તળાવો સિંચાઇ વિભાગ હસ્તક છે.

અમુક તળાવો વન વિભાગની હદમાં આવેલા છે તો કેટલાક તળાવો ભુજ શહેરની લગોલગ આવેલી ગ્રામ પંચાયતની માલિકીના છે. આમ, જયારે તળાવો અલગ-અલગ વિસ્તારમાં આવેલા હોય તેની સ્થાનિકે જવાબદાર તંત્ર પણ અલગ-અલગ હોવાથી જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિની કાર્ય સરળતાપૂર્વક કરવાની જવાબદારી વધી જાય છે.

તારીખ ૨૭, ડીસેમ્બર, ૨૦૧૧ના રોજ ભુજ શહેરમાં વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ અને શહેરના લોકોને સાથે રાખીને 'ભુજ શહેર જળ સ્વાલંબનની દિશામાં' વિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યશાળામાં એક સૂચન આવેલું હતું કે, ભુજ શહેરના જળસ્રોતોના વિકાસ અને સંરક્ષણ માટે એક અનૌપચારીક સત્તામંડળ રચવામાં આવે જેમાં જાગૃત નાગરીકો ઉપરાંત વિવિધ સરકારી વિભાગના પ્રતિનિધિઓ પણ જોડાય.

આમ, કરવાથી દરેક સરકારી વિભાગ એક જ પ્લેટફોર્મ ઉપર આવશે અને જળસ્રોતોના નવિનીકરણ અંગેની કામગીરી સરળતાપૂર્વક થઇ શકે. આ રીતે રચાયેલું સત્તામંડળ ઔપચારીક અને અનૌપચારીક રીતે પોતાની ભવિષ્યની કામગીરી નક્કી કરશે પરંતુ હાલમાં તેઓ જે જવાબદારીપૂર્વક નિર્ણયો લેશે તેમાં વધીવટી તંત્ર પણ હકારાત્મક રીતે જોડાશે.

ભુજ શહેરના વિવિધ વિસ્તારમાં તંત્ર, લોકો અને જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિના સંયુકત પ્રયાસોથી જળ સંચય અને જળ સંરક્ષણના કામો થઇ રહ્યા છે. વિવિધ વિસ્તારમાં તાંત્રિક કામગીરી પૂર્ણ થયા બાદ જે-તે વિસ્તારની સમિતિઓની રચના પણ કરવામાં આવેલી છે.

આવી સમિતિના સશકિતકરણ માટે કાર્ય થવું જરૂરી બની જાય છે. શહેરના વિસ્તારોમાં કાર્યરત આવી સમિતિનું 'હબ' જળસ્રોત સ્નેહ સંવધન સમિતિ દ્વારા સંચાલિત હોવું જરૂરી છે કારણ કે, છેલ્લા છ વર્ષની કામગીરી બાદ સમિતિ પાસે અનુભવો અને જ્ઞાનનું ભાથું છે.

આ અનુભવો અને જ્ઞાનને સંકલિત અભિગમથી સ્થાનિકે જે-તે વિસ્તારની સમિતિના સશકિતરણના ઉપયોગમાં લેવું તે વ્યવહારૂં નિર્ણય ગણી શકાય. વંચીત વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવેલી છે તેના પ્રત્યક્ષીકરણના આધારે ભુજ શહેરના હાર્દ સમા જયુબેલી કોલોનીમાં પણ વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભજળ રિચાર્જની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવેલી છે.

આ રીતે એક વિસ્તારની કામગીરીને બીજા વિસ્તાર સાથે સંકલિત કરવાથી ભુજ શહેર જળ અને જળસ્રોત વિકાસના સંદર્ભમાં સ્વાલંબન મેળવી શકે એ બાબતમાં શંકાને કોઇ સ્થાન નથી.

Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading