ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૧

ભારતવર્ષના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓના સમૂહથી બનતો વિસ્તાર બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરપ્રદેશના દક્ષિણ અને મધ્યપ્રદેશના પૂર્વભાગથી આ વિસ્તારનું નિર્માણ થયું છે. આ એક પહાડી વિસ્તાર છે. ભૌગોલિક દ્રષ્ટિથી વાત કરીએ તો બુંદેલખંડના ઉત્તર દિશામાં યમુના નદી અને દક્ષિણ દિશામાં વિન્ધય પર્વતશૃંખલા, પૂર્વમાં બેતવા નદી અને પશ્ચિમમાં તમસા(ટૌસ) નદી આવેલી છે. બુંદેલખંડ બુંદેલ રાજાઓના શાસનથી પ્રસિદ્ઘ છે જેની સ્થાપના ૧૪ શતાબ્દિમાં થઇ હતી. એમની પહેલા આ પ્રદેશમાં જુઝૌતિ નામે ઓળખાતો હતો. નવમી શતાબ્દિ સુધી આ વિસ્તારમાં ચંદેલ રાજાઓનું શાસન હતું.

બુંદેલી અહીની મુખ્ય બોલી છે જે હિન્દી ભાષા જેવી છે. ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા હોવા છતાં પણ અહીં એકતા અને સમરસતા છે જેને કારણે આ વિસ્તાર ખૂબ જ અનન્ય છે. બુંદેલખંડ એક અનોખો આગવો ઇતિહાસ અને વિવિધ સંસ્કૃતિ ધરાવે છે. અહી જન્મેલી આલ્હા, ઉદલ, કવિ પ્રભાકર ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ જેવી અનેક વિભૂતિએ ફકત બુંદેલખંડ નહી પણ ભારતવર્ષનું નામ દુનિયામાં રોશન કરેલું છે. ઇતિહાસ, સંસ્કૃતિ અને ભાષાના મુદ્રે બુંદેલખંડ ખૂબ જ વિશાળ છે. આલ્હા અને ઉદલ બુંદેલખંડના એવા સેનાપતિ હતા જે કદી યુદ્ઘમાં હાર્યા ન હતા. લોકમાન્યતા તો એવી છે કે, આલ્હા તો હજુ પણ જીવીત છે. અહીના રહેવાશી આલ્હાને મૃત વ્યકિત તરીકે સ્વીકારતા નથી. વાસ્તવમાં અહી સાચી સામાજિક, આર્થિક અને ભાવનાત્મક એકતા છે. શ્રાવણ મહિનામાં બુંદેલખંડ વિસ્તારના દરેક ક્ષેત્રમાં 'કજલી' મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં ભાતિગળ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. કજલી મેળાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો, વરસાદની ઋતુ શરૂ થવાની હોય એ પહેલા એક નાનકડા માટલામાં ખેતરની માટી ભીની કરી ભરવામાં આવે અને તેમાં અનાજના દાણા ઓરવામાં આવે છે. પંદર દિવસ બાદ દરેક બહેનો આ મટકાને પોતાના માથે ઉપાડીને એક મેદાનમાં એકત્ર થતી અને કેટલા દાણા ઉગી નીકળ્યા છે તેની ચકાસણી કરવામાં આવતી. આમ, આ રીતે દેશી બિયારણની તાકાત કેવી છે તે જોવામાં આવતી. આ મેળવડાને કજલી મેળા તરીકે નામ આપવામાં આવેલું છે. એક માન્યતા એવી પણ છે કે, આલ્હા અને ઉદલની શૂરવિરતાના માનમાં દર વર્ષે શ્રાવણ વદ પાંચમના દિવસે કજલી મેળાનું આયોજન કરવામાં આવે છે.

બુંદેખંડના પ્રાચીન ઇતિહાસના સંબંધમાં સર્વાધિક મહત્વપૂર્ણ માન્યતા એ છે કે, આ વિસ્તાર ચેદી વંશનો સમૂહ છે. કેટલાક વિદ્ઘાનો ચેદી વંશના રહેવાશીઓના વિસ્તારને જ બુંદેલખંડ ગણે છે. પૌરાણિક સમયમાં બુંદેલખંડ ઉપર પ્રસિદ્ઘ શાસકોએ રાજ કર્યુ હતું જેમાં ચંદ્રવંશી રાજાઓની શૃંખલા ઉલ્લેખનિય છે. મોર્ય, ગુપ્ત, કલચુરીયો, ચંદેલ, બુંદેલ અને મરાઠાઓના શાસનકાળ પછી બુંદેલખંડ બ્રિટીશશાસનમાં વિલિન થયું હતું અને એવું પણ કહેવાય છે કે, સ્વતંત્રતાની પ્રથમ ચળવળની ચિનગારી બુંદેલખંડ વિસ્તારમાંથી જ પ્રગટ થઇ હતી.

[img_assist|nid=46369|title=LAKE IN CHARKHARI|desc=|link=none|align=left|width=401|height=302]આઝાદી પછી બુંદલેખંડના રહેવાશીઓએ પોતાના પરંપરાગત જ્ઞાન અને કૌશલ્યથી અનેક તળાવો બનાવ્યા હતા. એ સમયે આજના સમય પ્રમાણે કોઇ એન્જિનિયર ન હતા. પરંપરાગત વિચક્ષણ જ્ઞાન ધરાવતાં ગામલોકો જ સાથે મળીને કયાં તળાવ બનાવી શકાય તેમ છે તેની ચર્ચા-વિચારણા કરતા હતા, ચર્ચા-વિચારણા બાદ સાચી જગ્યા પસંદ કરવામાં આવતી અને એ બાદ સર્વાનુમતે તળાવ ખોદવાની કામગીરી સામૂહિક રીતે કરવામાં આવતી હતી. તળાવો બનાવ્યા બાદ એ બધા તળાવોના સંરક્ષણ અને વ્યવસ્થાપનની પણ એમની અનોખી રીત વિકસાવી હતી. વરસાદની ઋતુ શરૂ થાય એ પહેલા બુંદેલખંડના ગામોમાં લોકો તળાવ પાસે એકત્ર થાય, તળાવની સફાઇ કેવી રીતે કરવી અને તળાવ પાણીથી ભરાઇ ગયા બાદ તેના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવું તેનું આયોજન તેઓ કરતાં હતા. તળાવો તેમના જીવનું એક અનિવાર્ય અંગ બનેલું હતું. કોઇપણ તહેવાર તળાવોના કિનારે ઉજવવાની તેમની પરંપરા હતી....પણ આજે સરકારની ઉપેક્ષા અને લોકજાગૃતિના અભાવે બુંદેલખંડના આશરે ૬૦૦૦ તળાવો નષ્ટ થવાની અણી ઉપર છે. કેટલાક તળાવોના તો નામોનિશાન જોવા મળતા નથી. કેટલાક તળાવો ઉપર ગેરકાયદેસર દબાણ તો કેટલાક તળાવો માનવસર્જિત તિવ્ર પ્રદૂષણનો ભોગ બની ગયા છે. આમ થવાનું કારણ એવું માનવામાં આવે છે કે, ઇ. સ. ૧૯૭૨ માં સરકાર દ્વારા ગામડાઓમાં હેન્ડપંપ લગાવવાની શરૂઆત કરવામાં આવી અને ધીરે-ધીરે લોકો પોતાની પરંપરાગત તળાવ સંસ્કૃતિને ભૂલતાં ગયા....પણ બુંદેલખંડના કેટલાક વિસ્તારમાં આજે પણ તળાવ સંસ્કૃતિ જીવંત છે, અલબત્ત લોકજાગૃતિનો અભાવ છે. મહોબા અને ચરખારી આવા વિસ્તારના નામ છે.

ઉત્તરપ્રદેશમાં મહોબાને સરકાર દ્વારા થોડા સમય પહેલા જિલ્લો તરીકે જાહેર કરેલો છે. મહોબા મથકમાં કુલ ત્રણ મોટા વિજયસાગર, મદનસાગર અને કિરતસાગર તળાવો આવેલા છે. વિજયસાગર તળાવનો વિસ્તાર અંદાજે ૭૦૦ થી ૯૦૦ એકર જેટલો છે. એજ પ્રમાણે મદનસાગર અને કિરતસાગર તળાવો પણ પ૦૦ એકરથી વધારે વિસ્તાર ધરાવે છે. રાષ્ટ્રિકૃત 'લેક કન્ઝરવેશન' યોજના હેઠળ હાલમાં વિજયસાગર તળાવને નવપલ્લિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં મદનસાગર અને કિરતસાગર તળાવના વિકાસ કાજે કાર્ય કરવામાં આવશે. જોકે આ તળાવોના વિસ્તારમાં અનઅધિકૃત દબાણો થયા છે જેને હવે કાયદેસરની માન્યતા પણ મળી ગઇ છે એટલે હવે જે તળાવનો વિસ્તાર બચ્યો છે તેના રક્ષણ માટેની કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે.

મહોબા જિલ્લાનો ચરખારી તાલુકો મહોબા મથકથી પચ્ચીસ કિ.મી.ના અંતરે આવેલો છે. આજના મધ્યપ્રદેશ પ્રાંતના ઇશાનગર, મલખાનપુર, ચંદલા, જુનારનગર, રાણીપુર અને ચરખારી રાજાશાહીના સમયમાં સ્ટેટનો દરજ્જો ભોગવતા હતા. ચરખારી સ્ટેટ સૌથી વધારે(એ સમયના આશરે ૧૩.૫૦ લાખ રૂપિયાની)આકરણી(લગાન) મેળવતું સ્ટેટ હતું. આશરે ૧૦૦૦ વર્ષ પહેલા ચંદેલકાલીન સમયમાં બુંદેલખંડમાં તળાવો બનાવવામાં આવ્યા હતા. ચરખારીમાં આવેલા તળાવો એકબીજા સાથે જોડાયેલા છે. ચરખારીમાં આ તળાવોનું નિર્માણ એવી રીતે કરવામાં આવેલું છે કે, વરસાદી પાણીનું એક પણ ટીંપુ ચરખારીમાંથી બહાર જતું નથી. આ તળાવોના નામ આ પ્રમાણે છે: કોઠી તળાવ, જયસાગર રપટ, મલખાનસાગર, બેસિયત, ગોલાઘાટ, ગુમાન બિહાર તળાવ, રતનસાગર, મંડનાસાગર, દેહુલીયા. આ તળાવના નિર્માણમાં ચંદેલવંશી રાજા બહાદૂરસિંહ, વિજયસિંહ, જયસિંહ અને મલખાનસિંહનો ફાળો મહત્વનો છે.

વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading